પરિવર્તન – જીવનનો શ્વાસ
જીવન એક સતત યાત્રા છે અને એ યાત્રાનો પ્રાણ છે—પરિવર્તન. જે બદલાતું નથી તે જડ બની જાય છે. જેમ વહેતી નદી પોતાના પ્રવાહમાં જીવન વહન કરે છે, તેમ બદલાવ જીવનને નવી ઊર્જા અને નવી દિશા આપે છે. સ્થિર પાણી હંમેશાં દુર્ગંધ પેદા કરે છે, જ્યારે વહેતું પાણી તાજગી અને સ્વચ્છતા આપે છે. આથી પરિવર્તન ફક્ત અનિવાર્ય જ નહીં પરંતુ જીવન માટે અનિવાર્ય પ્રાણવાયુ સમાન છે.
દરેક મનુષ્યના જીવનમાં બદલાવ અનિવાર્ય છે. ક્યારેક તે પરિસ્થિતિઓના કારણે આવે છે, તો ક્યારેક આપણા પોતાના નિર્ણયથી. સુખ–દુઃખ, હાસ્ય–આંસુ, શાંતિ–વાવાઝોડાં—આ બધું જ જીવનના રંગો છે. જો ફક્ત એક જ રંગ હોત તો જીવન નિરસ બની જાય. બદલાવ આપણને નવા અનુભવ આપે છે, નવા પાઠ શીખવે છે અને માનવજાતને આગળ ધપાવે છે.
પરિવર્તન ફક્ત વ્યક્તિગત જીવન પૂરતું જ નથી, સમાજ માટે તો એ અનિવાર્ય છે. ભારતીય સમાજે અનેક મોટા બદલાવોને પોતાની આંખે જોયા છે.
એક સમય એવો હતો જ્યારે સતીપ્રથા જેવા અંધકારમય કુરિવાજ સ્ત્રીઓનું જીવન ગળી જતો હતો. પરંતુ સામાજિક સુધારક રાજા રામમોહન રાય જેવા મહાનુભાવો દ્વારા થયેલી જાગૃતિએ આ કુરિવાજને કાયમી વિદાય આપી.
તે જ રીતે વિધવા વિવાહ ક્યારેક અશોભનીય માનવામાં આવતો. વિધવાઓને જીવનભર એકલતા, અપમાન અને બાંધછોડમાં જીવવું પડતું. પરંતુ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાન વ્યક્તિ ના યોગદાનથી સમાજે આ બાંધીયેલી માન્યતાઓને તોડી અને વિધવા વિવાહને સ્વીકાર્યો. આ બદલાવ ફક્ત કાયદાનો નહીં, પરંતુ માનવતાનો હતો.
અત્યાર સુધી ચાલી આવેલા ધાર્મિક કુમાન્યતાઓ અને અંધશ્રદ્ધાઓએ પણ સમાજને ઘણીવાર પાછળ ખેંચ્યો છે. પરંતુ સમય સાથે શિક્ષણ, વૈજ્ઞાનિક વિચારો અને સામાજિક આંદોલનો દ્વારા લોકો એ માન્યતાઓને પ્રશ્નવા લાગ્યા. આજે ઘણા કુરિવાજો ઈતિહાસનો ભાગ બની ગયા છે, કારણ કે સમાજે બદલાવને સ્વીકાર્યો છે.
વ્યક્તિગત અને સામાજિક જીવનની જેમ રાજકીય ક્ષેત્રમાં પણ પરિવર્તન અનિવાર્ય છે. લોકશાહીની સાચી શક્તિ એ છે કે સત્તા એક જ હાથમાં કાયમ માટે અટવાય નહીં. જો નેતૃત્વમાં બદલાવ ન થાય તો સત્તા અહંકાર અને ભ્રષ્ટાચાર તરફ દોરી જાય છે. આ સંદર્ભે રાજસ્થાન અને હિમાચલ પ્રદેશનું ઉદાહરણ ખાસ નોંધપાત્ર છે. આ બંને રાજ્યોમાં મતદાતાઓ લગભગ દર પાંચ વર્ષે સરકાર બદલે છે. ક્યારેક કોંગ્રેસ, તો ક્યારેક ભાજપ—પણ સત્તાનો પરિવર્તન નિયમિત થાય છે. આ એક મૌન સંદેશ છે કે પ્રજા સત્તાને એક જ પક્ષ કે નેતા પાસે લાંબા સમય સુધી અટકવા દેવા માંગતી નથી. આ જ લોકશાહીની તાકાત છે.
પરિવર્તન ક્યારેક દુખદાયક લાગે છે, કારણ કે એ અજાણ્યા ભવિષ્ય તરફ દોરી જાય છે. પરંતુ એ જ બદલાવ નવી આશા પણ લાવે છે. દરેક નિષ્ફળતા આપણને શીખવે છે, દરેક દુઃખ આપણને સંવેદનશીલ બનાવે છે, અને દરેક બદલાવ આપણને વધુ મજબૂત બનાવે છે. જીવન હોય કે સમાજ, કે પછી રાજકારણ—પરિવર્તન વિના પ્રગતિ શક્ય નથી. બદલાવ એ જ વિકાસનું બીજ છે.
આજના સમયમાં પણ અમુક ક્ષેત્રોમાં પરિવર્તન અનિવાર્ય છે. લિંગ સમાનતા હજુ સુધી સંપૂર્ણ રીતે હાંસલ થઈ નથી, સ્ત્રીઓને હજી ઘણા ક્ષેત્રોમાં સંઘર્ષ કરવો પડે છે. એ માટે વિચારસરણીમાં બદલાવ જરૂરી છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે, અને બંનેને સમાન અવસર મળવા જોઈએ.
પર્યાવરણના પ્રશ્નો દિવસે ને દિવસે ગંભીર બની રહ્યા છે—વાતાવરણમાં ફેરફાર, પ્રદૂષણ અને પ્રાકૃતિક સંપત્તિનો અતિરેક ઉપયોગ—આ બધાને અટકાવવા માટે માનવજાતે જીવનશૈલીમાં પરિવર્તન કરવું જ પડશે.
ટેક્નોલોજીના ક્ષેત્રે પણ બદલાવની દિશા મહત્વપૂર્ણ છે. ટેક્નોલોજી આપણા જીવનને સરળ બનાવવા માટે છે, પરંતુ જો તેનો દુરુપયોગ થાય તો તે માનવતાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી જરૂરી છે કે ટેક્નોલોજીનો સકારાત્મક અને જવાબદાર ઉપયોગ કરીએ.
પરિવર્તન એટલે જીવનનો શ્વાસ. વ્યક્તિગત સ્તરે તે આપણને જીવંત રાખે છે, સામાજિક સ્તરે તે અંધકારમાંથી મુક્તિ અપાવે છે, અને રાજકીય સ્તરે તે લોકશાહીને મજબૂત કરે છે. જે સમાજ બદલાવને સ્વીકારે છે, તે હંમેશાં આગળ વધે છે. એટલે બદલાવથી ડરવું નહીં, તેને આવકારવું જોઈએ. કારણ કે જીવનની સુંદરતા એ જ છે કે તે ક્યારેય એકસરખું નથી—તે સતત બદલાતું રહે છે