બોફોર્સ કાંડ
૧૫૫ મીલીમીટરનું નાળચું ધરાવતી કુલ
૪૧૦ બોફર્સ તોપો માટે ભારતે સ્વીડન સાથે માર્ચ ૨૪, ૧૯૮૬ માં ૧,૪૩૭ કરોડનો સોદો કર્યો
ત્યારથી એ તોપ યુદ્ધમેદાનમાં ગર્જી નથી એટલી રાજકારણમાં ગાજી છે. રણભૂમિને બદલે રાજકારણમાં
બોફર્સના નામે પહેલો ધડાકો એપ્રિલ ૧૬, ૧૯૮૭ના રોજ થયો કે જ્યારે સ્વીડિશ રેડિઓએ પહેલી
વાર બોફર્સની ખરીદીમાં ૬૪ કરોડની કટકી લેવાયાના સમાચાર વહેતા મૂક્યા, રેડિઓ રિપોર્ટ મુજબ ઇટાલિયન બિઝનેસમેન ઓટાવિયો ક્વાત્રોચિએ બોફર્સના સોદામાં વચેટિયાનો રોલ અદા કર્યો હતો અને બદલામાં કટકીની અમુક રકમ મેળવી હતી. ચોંસઠ કરોડની કટકીમાં ભારતના
તત્કાલિન વડા પ્રધાન રાજીવ ગાંધી સહિત બીજા કેટલાક નેતાઓનો તેમજ લશ્કરી અધિકારીઓનો પણ ભાગ હોવાનું બહાર આવ્યું ત્યારે ભારતના રાજકારણમાં ખળભળાટ મચ્યો. નતીજારૂપે બોફર્સ કૌભાંડની તપાસ માટે ઓગસ્ટ ૬, ૧૯૮૭માં સંયુક્ત સંસદીય કમિટીની નિમણૂંક કરવામાં આવી.
જુલાઇ ૧૮, ૧૯૮૯ના રોજ કમીટિએ તેનો રિપોર્ટ તૈયાર કર્યો, જેના આધારે જાન્યુઆરી ૨૨, ૧૯૯૦ ના રોજ સી.બી.આઇ.એ બોફર્સ કેસને ઓફિશ્યલી દર્જ કર્યો અને તપાસકાર્ય શરૂ કરાવ્યું.
આ તરફ પગ તળે રેલો આવતો દેખાતા ઓટાવિયો ક્વાત્રોચિએ ભારતમાંથી પોતાનાં બિસ્તરાં
સંકેલવા માંડ્યાં. ૧૯૬૦થી ભારતમાં આવીને વસેલા ક્વાત્રોચિને રાજીવ ગાંધી સાથે અને તેમના
ઇટાલિયન પત્ની સોનિયા ગાંધી સાથે મિત્રતા હતી. સી.બી.આઇ. દ્વારા પૂછપરછ કરાય એ પહેલાં
એક રાત્રે ક્વાત્રોચી દિલ્હી એરપોર્ટથી મલયેશિયાના પાટનગર કુઆલા લુમ્પુરની ફલાઇટ પકડી
ગાયબ થઇ ગયો. હેરતની વાત હતી, કેમ કે બોફર્સ કૌભાંડમાં ક્વાત્રોચીનું નામ સંડોવાયેલું હોવાનું
જાણવા છતાં દિલ્હી એરપોર્ટ પર તેની અટકાયત થઇ નહિ. કહેવાય છે કે સોનિયા ગાંધીના આદેશ મુજબ તત્કાલિન વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે ક્વાત્રોચીને ભારત છોડી જવાના બધા રસ્તા મોકળા કરી આપ્યા હતા. ક્વાત્રોચિની કાનૂની પૂછપરછ થાય તો રાજીવ ગાંધીનું નામ બહાર આવે
એ બનવાજોગ હતું, એટલે ગુપચુપ રીતે તેને ભારત બહાર મોકલી દેવાયો. હકીકત જે હોય તે ખરી, પણ ક્વાત્રોચીને અદાલતી કઠેરામાં હાજર કરવાનો આખરી મોકો ભારત ચૂકી ગયું. ઓક્ટોબર ૨૨, ૧૯૯૯માં સી.બી.આઇ.એ બોફર્સ કૌભાંડના સંદર્ભે પ્રથમ ચાર્જશીટ તૈયાર કરી; જેમાં વિન ચઢ્ઢા, ભારતના પૂર્વ ડિફેન્સ સેક્રેટરી એસ. કે. ભટનાગર, બોફર્સ કંપનીના ભૂતપૂર્વ અધ્યક્ષ માર્ટિન એર્ડબો,
રાજીવ ગાંધી અને ઓટાવિયો ક્વાત્રોચિનું નામ હતું. ચાર્જશીટના આધારે નવેમ્બર ૭, ૧૯૯૯ના રોજ ક્વાત્રોચિ સામે ધરપકડનું વોરન્ટ નીકળ્યું. સી.બી.આઇ.ની ટીમ એ
VIP મહેમાનને તેડવા ખાસ વિમાનમાં મલયેશિયા ગઇ છતાં કોઇ નક્કર રિઝલ્ટ વિના તેણે પાછા ફરવું પડ્યું, કેમ કે મલયેશિયન સરકારે ક્વાત્રોચિને સુપરત કરવાની સાફ ના પાડી દીધી. સી.બી.આઇ. માટે ક્વાત્રોચિ સુધી પહોંચવાનો આખરી દરવાજો પણ એ રીતે બંધ થયો. ક્વાત્રોચિને પકડવા માટે સરકારે ત્યાર પછી તો અનેક પ્રયાસો કર્યા, પણ પૈસાના જોરે કાયદાની ઐસી તૈસી કરી દર વખતે
એ ઇટાલિયન બિઝનેસમેન છટકી ગયો. દરમ્યાન બોફર્સ કટકી કેસનું કોકડું ઉકેલવા પાછળ ભારત સરકારે ૨૫૦ કરોડનો ખર્ચ કરી નાખ્યો. ૬૪ કરોડની કટકીની તપાસમાં કટકીની રકમના ચાર ગણા રૂપિયાનું આંધણ ચડ્યું--અને સરવાળે રિઝલ્ટ શું આવ્યું ? લગભગ કશું જ નહિ
https://www.facebook.com/share/p/17Fdnf7esZ/