કીર્તન સાથે કરતાલ સંભળાય એવો એ નરસિંહ.
શેષશાયી હરિવર જાગી જાય એવો એ નરસિંહ.
પોતે જાગેને જગતને જગાડે પ્રભાતિયાંના સૂરથી,
હૈયેથી હરિ પ્રત્યે હેત ઊભરાય એવો એ નરસિંહ.
પ્રભાતનાં પહોરમાં નરસિંહનાદે જડચેતન જાગતાં,
અનુસંધાન પરમેશથી ત્યાં થાય એવો એ નરસિંહ.
ના આધિ, વ્યાધિ કે ઉપાધિ એને કદી પણ થનારી,
સુકાન શ્રીહરિને જ્યાં સોંપાય એવો એ નરસિંહ.
રાસલીલાની રંગતમાં મગ્ન થતાં દેહભાન વિસરાય,
સળગતા હાથની વેદના ભૂલાય એવો એ નરસિંહ.
શામળવિવાહ કે મામેરું હોય કુંવરબાઈનું ગાજતું,
તોય નિષ્ફીકર થૈને હરિ ભજાય એવો એ નરસિંહ.
કામ કરવા ખુદ શ્રીપતિ આવે ખામી ના કશી દેખાય,
ધન્ય ધન્ય એની ભક્તિ ગણાય એવો એ નરસિંહ.
હોય શ્રાદ્ધ પિતાનું કે પછી માણેક વિદાયનો પ્રસંગ,
જલકમલવત્ એનાથી વરતાય એવો એ નરસિંહ.
ઊંચનીચના ભેદ તજીને હરિભજન વાસમાં કરતા,
સમદ્રષ્ટિ જેના વર્તનમાં પરખાય એવો એ નરસિંહ.
અગનકસોટી થૈ કેવી જ્યાં માંડલિક રોષના ભોગે,
કેદારરાગે પ્રભુથી હાર પહેરાવાય એવો એ નરસિંહ.
ઉષાકાળે રાહ જોતો કુંડ દામોદર ક્યારે પગલાં થાય,
હરિભક્તો ઈશથી અધિક મનાય એવો એ નરસિંહ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.