મોરબી હોનારત ૧૧ ઓગસ્ટ ૧૯૭૯
જસદણના દહીસરા ગામ પાસે નીકળતી ૧૪૭ કિલોમીટર લાંબી મચ્છુ અલાયદી નદી છે અને પોતાનો મોટા ભાગનો પ્રવાસ તે રાજકોટ જિલ્લામાં ખેડે છે. પ્રવાસ દરમ્યાન બેણિયા, મસોરો, આસોઇ, ખારોડિયો, બેટી, લાવરિયો, અંધારી
વગેરે મળીને નાની પોણો ડઝન નદીઓ મચ્છુમાં ભળી તેના જળપ્રવાહને સમૃદ્ધ કરે છે. અંગ્રેજીમાં જેને catchment area કહેવાય એવો તેનો નિતારપ્રદેશ લગભગ ૧,૯૦૦ ચોરસ
કિલોમીટરનો છે--એટલે કે તે પ્રદેશનું વરસાદી પાણી મચ્છુમાં નીતરી આવે છે. જસદણ, રાજકોટ, વાંકાનેર મોરબી તથા માળિયા તાલુકામાં ક્રમશઃ ઉત્તરે આગળ વધતી મચ્છુ અંતે માળિયાના આંજિયાસર ગામ પછી કચ્છના નાના રણમાં મળી જાય છે. સમુદ્ર જોડે તેનો ભેટો થતો નથી
મચ્છુ-2 બંધની ડિઝાઇનમાં તકેદારી લેવાયા છતાં ઑગસ્ટ ૧૧, ૧૯૭૯ ના રોજ મોરબી પર મોત કેમ વરસ્યું? સૌ પહેલાં તો કુદરતી પરિબળોએ જળપ્રલયનો તખ્તો ગોઠવ્યો. ઑગસ્ટના પહેલા અઠવાડિયા દરમ્યાન અરબી સમુદ્ર પર બે મોટા depressions રચાયા, જ્યાં હવાનું દબાણ આસપાસના વાતાવરણની તુલનાએ ઘટ્યું. ઘૂમરી ખાતા બન્ને સર્ક્યુલર ફરકા મધ્ય સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યા. આ જાતનાં લૉ પ્રેશર ક્ષેત્રો રચાય ત્યારે ચારેબાજુની ભારે હવા સૂસવાટાભેર ફરકા તરફ ધસવા માંડે અને ત્યાં જબરજસ્ત વલોપાત મચાવી દે. સીમિત
જગ્યામાં ન સમાતો હવાનો ભેજવાળો સમુદાય છેવટે ઊંચે ચડે, જ્યાંનું ઠંડું વાતાવરણ તેના ભેજને વરસાદી ટીપાંરૂપે ઠારી નાખે. ઊર્ધ્વગામી પવનમાં અફરાતફરી મચાવતાં ટીપાં એકમેક સાથે ભળીને મોટાં બને, એટલે પવનનું જોર સહેજ શમ્યા પછી જે
વરસાદી હેલી પડવા માંડે તેની રમઝટ જેવી તેવી હોય નહિ.
બન્ને ફ૨કાને કારણે ઑગસ્ટ ૧ થી શરૂ કરીને મચ્છુના ૧,૯૦૦ ચોરસ કિલોમીટરના નિતારપ્રદેશમાં મૂશળધાર વરસાદ પડ્યો અને બંગાળના ઉપસાગર દ્વારા આવતાં કેટલાંક મેઘવાદળોએ તેમાં ઉમેરો કર્યો. આ વાદળો પણ ફરકા સાથે
આવ્યાં. બેઉ પરિબળોએ વરસાદનું પ્રમાણ એટલું વધાર્યું કે રાજકોટની વેધશાળાએ ઑગસ્ટ ૧૧, ૧૯૭૯ ના ગોઝારા દિવસે ૩૫૪ મીલીમીટરની સાંબેલાધાર વર્ષા નોંધી.
ઑગસ્ટ ૧૧, ૧૯૭૯ ના રોજ મોરબી અને નજીકના વિસ્તારોમાં ૨૩૭ મીલીમીટર
વરસાદ પડ્યો, જે સમગ્ર ઑગસ્ટની દૈનિક સરેરાશ ૧૨૩ મીલીમીટર કરતાં ૧૯૩%
જેટલો હતો--એટલે કે લગભગ બમણો હતો. ઘણો ખરો તેમજ એકધારો વરસાદ મધરાતે ૧૨:૦૦ વાગ્યે ઑગસ્ટની ૧૧મી તારીખ થયા બાદ પડ્યો હતો. અગાઉ
સતત ૧૦ દિવસ સુધી પડેલા વરસાદનું પણ ખાસ્સું પાણી
નિતારપ્રદેશમાં વહીને મચ્છુમાં ભળી તેના જળપ્રવાહને વધારવા તેમજ વેગીલો બનાવવા લાગ્યું હતું.
ઑગસ્ટના બીજા અઠવાડિયે સપાટી જેમ વધી તેમ મચ્છુ-૧ ના તથા મચ્છુ-૨ ના વધુ દરવાજા ખોલી નાખવામાં આવ્યા. પરિણામ
એ આવ્યું કે ૩૨ કિલોમીટર ઉત્તરે માળિયા ખાતે જળરાશિનો ભરાવો થયો અને મચ્છુનાં પાણી તે ગામમાં પ્રવેશ્યાં.
આ તરફ મચ્છુ નદીનું રૌદ્ર સ્વરૂપ તેની પરાકાષ્ટાને આંબી રહ્યું હતું. પ્રત્યેક કલાકે જળસપાટી એકાદ ફૂટ જેટલી વધતી હતી.
https://www.facebook.com/share/p/Vz765x8RFmtyZPe5/?mibextid=oFDknk