માણસ અને પક્ષીમાં સામ્યતા ખરી?
પક્ષીઓ સંતાન પ્રાપ્તિ પછી થોડાક જ દિવસમાં એમને માળામાંથી નીચે ધક્કો મારતાં હોય છે કે બાળક જલદી ઉડીને જાતે ખાવાનું શોધે અને આત્મનિર્ભર બને.
હવે આ કહેવત કે વિધાન લોકો પોતાની વાતોમાં ઉદાહરણ તરીકે વાપરે છે, જ્યાં આ બાબત બંધ બેસે ત્યાં સાચી કે છોકરાઓને એક દિવસ આત્મનિર્ભર થવું જરૂરી છે અને માં બાપ ચોક્કસ આ બાબતે દિવસ કે ઉંમર નક્કી કરે જ્યારે તેઓ એમના સંતાનને કહી કે ઠપકો આપી શકે કે હવે કમાઓ.
જોકે મધ્યમ વર્ગીય કુટુંબના બાળકો આ બાબત જલદી સમજી જતા હોય છે અને કહેવા પહેલાં તેઓ એમના થકી થતા બધા પ્રયત્નો કરી લેતા હોય છે કે જેમ પહેલાં તેઓ પોતાના અને ધીરે ધીરે પછી ઘરના થોડા ખર્ચા ઉપાડતા થાય.
પણ અહીં એક બાબત સમજવા જેવી છે જે કુદરતી અને વૈજ્ઞાનિક છે, પક્ષીઓ પોતાના માળા ફકત પ્રજનન માટે બનાવે છે, એટલે પ્રજનન પછી એક માળામાં તેઓ છોકરાઓ સાથે રહી શકતા નથી, છોકરાઓ જીવનની હોળમાં તેઓના પ્રતિસ્પર્ધી બની જશે, ખાવામાં અને રહેવામાં ભાગ પાડવા પડશે એટલે તેઓ કુદરતી રીતે જ એમના છોકરાઓને ધક્કો મારી માળાથી બહાર ફેંકાતા હોય છે.
માણસની પ્રવૃત્તિમાં આવું નથી, માણસના બાળક પ્રતિસ્પર્ધી નથી બનવાના, માણસ કાયમી રહેવા માટે ઘર બનાવે છે, ફકત પ્રજનન માટે ઘર નથી, માણસની ઉંમર મોટી રહેવાની, જીવનના ઘણા પડાવ માણસને પાર કરવા પડે, અહીં સામાજિક વ્યવસ્થા છે જે પક્ષીઓમાં ફકત ક્ષણિક કે સહજીવન માટે જ હોય છે.
એટલે જો માણસ પક્ષીઓના ઉદાહરણ આપીને બાળકોને ઘરેથી જવા કહે કે પ્રેરે તો સામાજિક અને વૈજ્ઞાનિક રીતે આ ઉદાહરણ ખોટું છે, માણસને પરિવારની જરૂર છે અને એક પરિવાર સાથે રહીને જ આનંદમય જીવન જીવી શકે.
- મહેન્દ્ર શર્મા