આપણાં સમાજમાં કહેવાતું આવ્યું છે કે પતિ પત્ની એટલે સંસારરથનાં બે પૈડાં. બે પૈડાં વગર રથ ન ચાલે. તો આનો અર્થ એ થયો કે સારથિ કોઈ અન્ય છે. આથી જ હું હંમેશા કહું છું કે, "પતિ પત્ની એ રથનાં બે પૈડાં નહીં, પરંતુ રથનાં સારથિ હોવાં જોઈએ. પોતાનાં સંસારનો રથ કઈ દિશામાં હંકારવો એ એમને ખબર હોય છે."
પતિ પત્નીએ સારથિ બનીને પોતાનાં રથને સફળ દાંપત્ય જીવન તરફ હંકારી જવાનો છે, જેમાં રસ્તામાં ક્યાંક મીઠી બોલાચાલી કે નાનકડો ઝગડો નડતરરૂપ આવી શકે. આ નડતર એટલું મોટું નથી કે એનાથી આગળ વધવાનો રસ્તો બંધ જ થઈ જાય. બંને તરફથી થોડી સમજદારી આ નડતરને દૂર કરીને રથને આગળ વધારવામાં મદદ કરે છે.
કોણ પહેલ કરશે એની રાહ જોવાની જરુર નથી, અને એક પહેલ કરે તો બીજાએ બધું ભૂલી જઈને પોતાનાં સાથીને માફ કરી દેવું, જેથી કરીને ફરીથી રથને આગળ હંકારી શકાય. પોતાનાં સંસારરથનાં સુયોગ્ય સારથિ બની પતિ પત્ની સંસારસાગર ખૂબ જ સારી રીતે પાર કરી શકે છે. એકબીજામાં વિશ્વાસ, કાળજી, હૂંફ, લાગણી, પ્રેમ, સમજ અને એકબીજાનું સન્માન આ રથનાં ઘોડાઓ છે. પતિનું ઘર અને પત્નીનું પિયર એ આ રથનાં પૈડાં છે. રથનું સમતોલન જાળવવા આ બંને પૈડાંનું સમતોલન જરુરી છે.
અંતે એટલું જ કહીશ કે જે સારથિ પોતાનાં ઘોડાઓ કાબૂમાં રાખી, પૈડાંઓ સરળતાથી તમામ ખાડા ટેકરાઓમાંથી બહાર કાઢી શકે તે પોતાનાં ભવસાગરને પાર કરી શકશે.
આભાર.
સ્નેહલ જાની