શહેરથી દૂર આવેલી દેરીએ એ રોજ જતી. ત્યાંનું શાંત વાતાવરણ અને એકાંત એને ખૂબ જ ગમતું. પક્ષીઓની ચહેક, સતત વેહતો ધીમો શીતળ પવન એના મનને જ નહીં,એની આત્માને પણ શાતા આપતો. એ ઘણીવાર કલાકો સુધી બેસી રહેતી ,ચૂપચાપ... જાણે કદીક પોતાના મન સાથે તો કદીક ત્યાં બિરાજેલ ભગવાન સાથે વાતો કરતી...
એક દિવસ પૂજા કરી રહી હતી.કુમકુમ અને અક્ષત ચઢાવતા એના હાથ થંભી ગયા.એનાથી અનાયાસે જ ડૂસકું મુકાઈ ગયું.પ્રભુને વિનવતાં કહેવા લાગી," પ્રભુ ! મને તો વાસનાભર્યા અનેક હાથો અડ્યા છે.હું તો કણકી, પોણીયા,ટુકડા સમાન છિન્નવિછિન્ન છું ,મારું ચરિત્ર અક્ષત સમુ અખંડ કે પવિત્ર રહ્યું નથી.મારા એવા તો કયા કર્મ હશે કે મને મારા સાચા માતાપિતાની પણ જાણ નથી.મને ઉછેરનાર મુસ્લિમ હતી તો જગત મને સોફિયાબાનુનાં નામે ઓળખે છે.હું કોની વાસનાનું પરિણામ છું એની મને જાણ નથી.જ્યારથી સમજણી થઈ છું, ત્યારથી તમને જ સર્વસ્વ માનું છું. હું તો ભીતરે ક્ષત- વિક્ષત થયેલ ખંડેર સમી છું પણ તું તો સૌનો રખેવાળ છે! પ્રભુ! તારી આ નાદાન દિકરીની પ્રાર્થના કબૂલ કરજે."
✍️ સરગમ