Shraddh Nu Mahatva...Pitru Devo Bhav...🌷🌹💐🦚Part 1
(વિશેષ નોંધ: જો તમને ધર્મમાં શ્રદ્ધા છે તો આ લેખ તમે વાંચશો જ પણ જો તમને ધર્મ કરતા વધારે વિજ્ઞાન અને પર્યાવરણને લગતી તાર્કિક દલીલોમાં રસ છે તો તો આ લેખ એકીશ્વાસે વાંચવો જ રહ્યો. આ લેખ અત્યાર સુધીમાં ઘણા બધા સામાયિક અને મેગેઝીનમાં પ્રકાશિત થઇ ચુક્યો છે જેને પણ યોગ્ય લાગે એ હજી બહોળા જન સમુદાય સુધી પહોંચાડી આવનારી પેઢીને માહિતગાર કરી શકે છે.)
આજે ભાદરવી પૂનમ એટલે શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ. આમ જુઓ તો ઘણા બધા લોકો માટે “શ્રાધ્ધ” એવો જ કઈંક અંધશ્રદ્ધાથી ભરેલો કે પાયા વિહોણો વિષય હશે તો મને થયું કે મારા વાંચન અને અનુભવનાં આધારે જે કઈ પણ હું જાણી શકી છું એ વાતો આજથી શરૂ થઈ રહેલાં શ્રાધ્ધ પક્ષ નિમિત્તે આપ સહુ સુધી પહોંચાડું.
ભાદરવી પુનમથી ભાદરવી અમાસ સુધી આ શ્રાધ્ધનું પર્વ મનાવાય છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ આ દિવસોનો મહિમા અન્ય હિન્દુ પર્વ જેવો જ પવિત્ર છે. ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ, પર્યાવરણનાં સંબંધમાં પણ આ દિવસો મહત્ત્વના છે. મને તો હંમેશા આ આભાર વ્યક્ત કરવાનુ પર્વ લાગ્યું છે. ઘરોની છત કે બિલ્ડીંગની પાળીઓ પર ખીર પુરી સહિતનાં સંપુર્ણ ભોજનનો થોડો ભાગ આપણને શ્રાધ્ધ પક્ષમાં જોવા મળે છે.
મને હંમેશા લાગ્યા કર્યું છે કે આપણા દરેકેદરેક વાર-તહેવાર કે કોઈ વિશેષ તિથિ કે આપણા રીતિ-રિવાજો પાછળ આપણા ઋષિમુનિઓનું ખુબ ઊંડુ ચિંતન અને પર્યાવરણમાં આવતા બદલાવની સાથે અનુકૂલન સાધવાની વાત કરાઈ છે. શક્ય છે કે દરેક વખતે એની પાછળનું વૈજ્ઞાનિક કારણ નવી પેઢી સુધી નથી પહોંચી શકતું છતાંય આપણા ધર્મમાં મને એક અતૂટ શ્રધ્ધા બેઠી છે. જેમ-જેમ હું વધારે ને વધારે એમાં ઊંડી ઊતરતી જાઉં છું એમ-એમ મારી શ્રધ્ધા વધુ ને વધુ દ્રઢ થતી જાય છે.
અમારી અને આવનારી પેઢીને મારો એક જ અનુરોધ છે કે ક્યારેય પણ આપણા ધર્મ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને અંધશ્રદ્ધામાં ન ખપાવતા કેમ કે શક્ય છે કે જે તે સમયનું એની પાછળ રહેલું વૈજ્ઞાનિક તથ્ય આપણાથી અજાણ હશે પણ હશે તો ખરાં જ. ઘણી બધી વસ્તુ કદાચ એવી પણ હશે જે એ વખતનાં સમય સંજોગોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી હશે. એ વખતે જેટલી પણ ટેક્નોલોજી હશે એને ધ્યાનમાં રાખીને કે અન્ય સામાજિક કારણોસર કે કોઈ વસ્તુ ધર્મ સાથે જોડી દેવાથી જ એનું અમલીકરણ શક્ય બન્યું હશે માટે જ અમુક માન્યતા કે રીતી-રિવાજો આજે પણ સમાજમાં પ્રવર્તે છે.