Today's Youth Part 2
રાજુ ખુરશી ખેંચી ને અમારી સામે બેઠો. એની રીતભાત માં એક શાલીનતા હતી. મારી સામે જોઇને બોલ્યો, “સાહેબ, વાત તો તમારી એકદમ સાચી. મારી પણ ઈચ્છા નોકરી કરવાનીજ હતી. પોસ્ટ-ગ્રેજ્યુએટ ફર્સ્ટ-ક્લાસ સાથે થઇ, નોકરીની ઘણી એપ્લીકલેશન કરી. મારા સપના પણ ઊંચા હતા. સ્વપ્ન હતું, ક્યાંક ઊંચા પગારે મને નોકરી આપવા બધા મારી રાહ જોઈનેજ બેઠા છે. જયારે નોકરી માટે એક પછી એક ઈન્ટરવ્યુ આપ્યા, ત્યારે મારા સપના ધીમે ધીમે તુટવા લાગ્યા. એમપણ નહોતું કે મને નોકરી નહોતી મળતી... ક્યાંક મને છ મહિના મફતમાં કામ કરવા જણાવ્યું, ક્યાંક મને પગાર ઓફર કરે પણ એટલો ઓછો કે, આવવા-જવાનો ખર્ચ પણ ના પરવડે.”
રાજુનાં મોઢા પર હું થોડી નિરાશા જોઈ શક્યો. એણે આગળ વાત વધારતા કહ્યું, “ સાહેબ, નિરાશ થઇને આખરે એક નોકરી સ્વીકારી. સવારે ઘરેથી નીકળી રેલ્વે-સ્ટેશન પહોચવાનું, ત્યાંથી દોડીને ટ્રેન પકડું. ટ્રેનમાં ઉભો-ઉભો સુરત પહોચું. ત્યાં પાછો, દોડી ને બહાર, શેર રિક્ષામાં ભરાઈ ને, બે જગ્યાએ રિક્ષા બદલી, કામની જગ્યાએ પહોચું. સાંજ પડે પાછો, આમ જ ઘરે આવું. સવાર ના ૬ વાગ્યા થી સાંજે ઘરે ૮ વાગે પહોંચું ત્યાં સુધી જિંદગી એક રૂટીન થઇ ગયેલી. ચાર-પાંચ મહિના પછી એકવાર નોકરીએ જતા વિચાર આવ્યો, “શું, આજ મારી જિંદગી છે? મારે આમજ કોઈકને ત્યાં નોકરી કરવાની, આજ મારું સપનું હતું? કોઈની ગુલામી કરીને, મારે એક રોબોટ ની જેમ જિંદગી વિતાવવાની છે? “
“બસ, એ દિવસે હું નોકરીએ જવાને બદલે ઘરે પાછો જતો રહ્યો. મારા પિતાજીએ મને પાછો આવેલો જોયો. મારા મોઢા પરનાં ભાવ જોઈ, તેઓ સમજી ગયા. મારી પાસે આવ્યા. મારા ખભે હાથ મુક્યો અને કહે, “ચાલ મારી સાથે....” ખભે હાથ મૂકી મને અમારા ગામનાં તળાવ કિનારે લઇ ગયા.
“અને હા સાહેબ, તમને થતું હશે કે આ કેટલું કમાતો હશે? આજે મને ગર્વ છે, કે હું મહીને છ આંકડા માં કમાઉ છું અને ઇન્કમટેક્ષ પણ ભરું છું. મારા આ નિર્ણયને લીધે મારે ત્યાં કામ કરતાં ૯ વ્યક્તિઓના કુટુંબપણ ચાલે છે. જો હું ત્યાંજ નોકરી કરતો હોત , તો આજે પણ હું ટ્રેનમાં સવારે ૭ થી રાતે ૮ ની દૌડ લગાવતો હોત.”
હું અને મારો મિત્ર એક-બીજા સામે જોઈ રહ્યા. મેં શિક્ષણને લગતા કેટલાય સેમીનાર અને ભાષાણો સાંભળેલા. કેટલાય મેનેજમેન્ટ નાં વિધ્વાનોનાં વિવિધ કોન્ફરસ અને સેમીનારમાં ભાષણો સાંભળેલા. પણ આજે મેં એક એવા વ્યક્તિ ની વાત સાંભળી જેનાં શબ્દો માં આચરણ નું બળ હતું.
મેં કેટલાય અસહાયતા અનુભવતા ભણેલા-ગણેલા વ્યક્તિઓને જોયા છે, જો નોકરી નહી હોયે તો શું થશે નો ડર જોયો છે. આજે આ રાજુની વાત, તેના શબ્દો, જાણે કુરુક્ષેત્રમાં ઉભેલા અર્જુન ને મળેલો ગીતાસાર હતો. “કોઈપણ કામ નાનું નથી, બસ ઈમાનદારીથી કરો. જો ડીગ્રી અને અભ્યાસ આત્મવિશ્વાસ અને આત્મસન્માન ના આપી શકે તો , એ ભણતર શું કામનું? “ – રાજુ નાં પિતાજીનો આ પ્રશ્ન મારા કાનમાં ગુંજી રહ્યો હતો.
(ઉપરોક્ત વાત સાચી બનેલી એક ઘટના છે. માત્ર સ્થાન અને સંદર્ભફેર કરેલો છે.)
-