// જીવનને આનંદમય કેવી રીતે જીવી શકાય //
જે વ્યક્તિ આનંદથી જીવવાની રીત જાણે છે, તેની જિંદગીની યાત્રા પણ બીજાથી અલગ અને આનંદિત જ હોય છે
ગૌતમ બુદ્ધ આ વાક્ય વાંચીએ તો ‘જાગનારાઓની રાત લાંબી હોય છે. થાકી ગયેલાં લોકો માટે યાત્રા પણ લાંબી હોય છે. એ જ રીતે સદધર્મને ન જાણનારા મૂર્ખો માટે આ દુનિયા વિશાળ જ છે.’ સામાન્ય માણસને સમજાવવા માટે તેઓ કહેતા કે તમારો દુશ્મન તમારે ઘેર આવીને બેસી જાય, ઘડીભર બેસે તોય એવું લાગે કે વર્ષો વીતી ગયાં અને તમારી પ્રિયતમા ઘરે આવી જાય ત્યારે કલાકો વીતી જવા છતાં એવું લાગે કે ક્ષણભર પણ વીતી નથી. આ ગૈતમ બુદ્ધ સહજતાથી કહી રહ્યા છે કે સમયનું પ્રમાણ આપણા મનમાં જ છે. ઘરે કોઈ પ્રિયજન મૃત્યુની નજીક હોય, પથારીવશ હોય તેની પાસે આખી રાત જાગવું પડે તો એવું લાગે જાણે રાત અંતહીન છે, જાણે પૂરી જ થાય એવું લાગે. બસ, એ અંધકાર દૂર થાય તો પ્રકાશ અને વિશાળતા જીવનનો શાશ્વત અનુભવ થઈ જાય. કહેવાનો અર્થ કે સમયનું માપ સાપેક્ષ છે એ તો આપણા મન ઉપર આધારિત છે. આપણે ખુશ હોઈએ ત્યારે સમય પણ બહુ ઝડપથી પસાર થઈ જાય છે. જો આપણે બહુ જ દુ:ખી હોઈએ ત્યારે સમય પણ એકદમ ધીરે-ધીરે પસાર થતો લાગે છે. હંમેશાં કંઈ આપણું ધારેલું થતું નથી સાથે ઘણું બધું આપણે ન ધારેલું પણ થાય છે. અરે, સમય તો એ જ છે અને તે ક્યારેય કોઇના સુખ-દુ:ખથી નથી બદલાતો, પણ આપણો અંતરભાવ સમય પ્રત્યે રૂપાંતર પામે છે. પોતાની જાતને બુદ્ધિશાળી માનતી દુનિયાએ માણસને બહારથી ખુશ રહી શકાય એવાં અને આનંદિત રહેવાનાં અઢળક સાધનો આપ્યાં છે, પણ આવો આનંદ બિલકુલ ક્ષણિક હોય છે. ક્ષણવારની ખુશીનો આનંદ લાંબા સમય માટે ટકતો નથી. તેથી જ તો કહેવાય છે કે જિંદગી ખુશીની હોય તો તે ઘણી ઝડપથી પસાર થઈ જાય છે અને દુ:ખની હોય તો એ જિંદગી બહુ જ લાંબી લાગે છે, નહીંતર તો એક-એક ક્ષણ પસાર કરવી પણ કષ્ટદાયક બને છે. બસ, આ જ રીતે દુનિયામાં જે લોકો આનંદથી જીવવાની રીત જાણે છે, તેમની જીવનની યાત્રા પણ અલગ અને આનંદિત હોય છે અને જેમણે દુ:ખી થઈને જીવવાની આદત બનાવી લીધી છે, તેમની જીવનયાત્રા કાળી રાત બની જાય છે. આ જમીન ઉપર બુદ્ધ પુરુષ ચાલે ત્યારે સમય થંભી જાય છે, તેમના માર્ગમાં સંસાર ક્યાંય આડે આવતો નથી, પણ આ જમીન ઉપર આપણે ચાલીએ ત્યારે જીવનને બોજ માનીએ છીએ. એટલું યાદ રાખો કે, તમારા આનંદનો ઈલાજ તમારી પાસે જ છે. મનમાંથી તમારી ચિંતા, નિરાશા અને બળાપાને દૂર કરી દો. તમે મન મૂકીને હસો અને ખુશ રહો. આનંદ તો ઈશ્વરે આપેલી અણમોલ ભેટ છે. આનંદ કોઈ વસ્તુમાં નથી એ તો તમારી હકારાત્મક દૃષ્ટિમાં છે. વિચારો હકારાત્મક રહેશે તો આ જીવન પણ સુંદર બનશે અને તમે હંમેશાં આનંદિત રહેશો.
#દિપકચિટણીસ