“કેટલીક વખત પરિવારના વડીલોને, સફાઇકર્મીઓને, અન્ય કારીગરોને આપણે બિનજરૂરી ટકટક કરતાં હોઈએ છીએ. પણ બાળક હાજર હોય ત્યારે આપણા એ વર્તનની બાળક પર કેવી છાપ પડશે એમ વિચારી અટકી જતાં હોઈએ છીએ અથવા તો હળવાશથી સલાહસૂચન આપી વાત અટકાવી દેતા હોઈએ છીએ.
આપણે જાણીએ જ છીએ કે બાળક પર તેને આપતી સલાહસૂચનની ખાસ અસર થતી નથી પરંતુ બાળકો મોટેરાંઓનું વર્તન જોઈને શીખતાં હોય છે. અને એટલે જ આપણે આપણી જાત પર સંયમ રાખી દેતા હોઈએ છીએ. સાચે જ સરવાળે આ એક સકારાત્મક બાબત બની રહે છે.
પતિપત્ની વચ્ચે વૈચારિક મતભેદ હોવા બહુ સ્વાભાવિક છે. ક્યારેક પારિવારિક કારણોસર, ક્યારેક યોગ્ય નિર્ણય માટે તો ક્યારેક એકબીજાની જરૂરિયાત પૂર્ણ ન થઈ શક્યાના અસંતોષને લઈ ઝઘડા થતા હોય છે..ત્યારે તમે બાળકની હાજરીથી ડરો છો? જો હા, તો એ ઉત્તમ સ્થિતિ છે. તમે જાણો છો તમારા ઝઘડા પૂર્ણ થયે જીવન પાછું રૂટિનમાં ગોઠવાઈ જાય છે. પરંતુ જો બાળકની હાજરીમાં ઝઘડો થાય તો તેની બાળકનાં મન પર બહુ ગંભીર અસરો જોવા મળે છે. આવે સમયે બાળકની ગેરહાજરીમાં કે કોઈ એકાંત સ્થળે ચર્ચા કરી લેવી વધુ ઉચિત છે..કેમકે બાળક માતાપિતાનો સંઘર્ષ સમજી શકે એટલી તેની ઉંમર હોતી નથી. તેનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહે છે.
આવી સ્થિતિમાં તમે જો બાળકની હાજરીની કાળજી લઈ મર્યાદામાં રહો છો, બાળકની ગેરહાજરી સુધી પ્રતીક્ષા કરો છે તો તમે સાચે જ તમારા પરિવાર માટે પ્રેરણાદાયી સ્થિતિનું નિર્માણ કરી રહ્યાં છો.”
🙏