શુભ રાત્રી 🙏 સાથે આજે વાંચો એક ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નો જબરદસ્ત પ્રસંગ.....
" લોકોને મારવા માટે નથી !"
બાળમહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડમાં ભણવા મૂકેલા . ત્યાંથી 1927માં થોડા વખત માટે તેમને ભાવનગર લઈ આવેલા .ભાવનગરની પ્રજાને તેમનું સ્ટેશને સ્ટેશને સ્વાગત કરવું હતું .એટલે લોકો ઊમટે , ફૂલતોરા કરે , ધોળ કરે વગેરે વિધિ થતાં ટ્રેન સિહોર સ્ટેશને આવી ત્યારે ત્રણ કલાક મોડી પડી હતી .આજુબાજુનાં ઘણાં ગામડેથી માણસો ઊમટેલાં . લોકોના ધસારાના પરિણામે દીવાન પ્રભાશંકરનો ફેંટો ઊડી ગયો , ને અંગરખાની ચાળ ફાટી ગઈ .બાળમહારાજા પણ ટલ્લે ચડી છૂટા પડી ગયા . તેમનો સાફો નીકળી ગયો . એ હાલતમાં જેમતેમ કરી ડબ્બામાં ચડી ગયા . બારણામાં આગળ મહારાજા ને ફાટેલે અંગરખે , ઉઘાડે માથે પ્રભાશંકર ઊભા હતા .ટોળાનો ધસારો વધતો ગયો .ધક્કામુક્કીમાં લોકો બારણાં પર ચડવા લાગ્યા .તેમને રોકવા ફોજદારે સોટી વીંઝવી શરૂ કરી .એકદમ પ્રભાશંકરે બૂમ મારી ,
"બંધ કરો ! પોલીસ આઘી ખસી જાય . લોકોને મારવા માટે પોલીસ નથી !"
બાળમહારાજાએ કહ્યું , " મારી પ્રજાને શા માટે મારો છો ?"
લોકોને સાંભળતાં પ્રભાશંકરે સ્થાનિક વહીવટદારને હુકમ આપ્યો કે ફોજદાર સાહેબનો આજ ને આજ દસ રૂપિયા દંડ વસૂલ લેવો .વહીવટદારે દંડ વસૂલ કર્યો ને બીજે દિવસે પાછો ચૂકવતી વખતે પટ્ટણીસાહેબે દંડ માફ કર્યો છે તેમ જણાવ્યું .
અઠવાડિયા પછી કોઇ કામ નિમિત્તે પ્રભાશંકરનો શિહોર મુકામ થયો , ત્યારે પોતાનો દંડ માફ કર્યા બદલ ફોજદાર આભાર માનવા આવ્યા .ત્યારે પ્રભાશંકરે કહ્યું , " તમારો હેતુ વ્યવસ્થા જાળવવાનો હતો , એ હું સમજતો હતો , પણ લોકોને મારવાથી વ્યવસ્થા ના જળવાય , ઊલટી ગેરવ્યવસ્થા વધે ને લોકોને રાજ્ય તરફ માન ઘટે . હું તમારી જગ્યાએ હોઉં તો સામટાં માણસો લાંબા સમયથી રાહ જોઈ કંટાળે , એમ સમજીને કોઈ કોઈ મા પાસેથી રોતું છોકરું તેડીને એની માટે પીવાનું પાણી લાવી દઈ છાનું રાખતાં રાખતાં એ માવડીને કહું કે , આ યે બાળારાજા છે . એ બિચારાને તેડીને ભીડમાં આવ્યાં છો તો હેરાન થશો .માટે છેટે ઊભાં રહીને જોજો , નહીંતર ભીડના ધસારામાં છોકરું હાથમાંથી છૂટી પડશે , કચરાઈ મરશે ને રોવા વારો આવશે . જો આમ લોકોને આગળથી સમજાવ્યાં હોત તો ધમાલ ન થાત .ભીડમાં ધાંધલ ન થાય તે માટે અગાઉથી સાવચેતીનાં પગલાં લેવા માટે પોલીસ છે ."
પ્રભાશંકરને આ ફોજદારના કામથી સંતોષ હતો .એની પ્રમાણિકતાથી તેઓ ખૂબજ પ્રભાવિત હતા .એ ફોજદાર ડિસ્ટ્રિક્ટમાં હોય , ત્યારે પોતાનું સીધું ભેગું લઈને જતા ને હાથે રાંધતા . ઘોડાગાડીમાં ગાડીવાળો ભાડું લેવાની ના પાડે તો પણ ક્યારેય ભાડું દીધાં વગર બેસતાં નહીં .
આવી હતી ભાવનગર નરેશ ની પ્રજાવત્સલતા ! તો દીવાન પણ એટલા જ ન્યાયપ્રિય ને પ્રજાપ્રિય હતા , અને જ્યાં આવો ન્યાય ને લાગણી હોય રાજાની પ્રજા પ્રત્યે ત્યાંની પ્રજા પણ એટલી જ ન્યાયપ્રિય અને સમજદાર જ હોય ને !!
શું આજે એવું નથી લાગતું કે ખરેખર પ્રજાનું સુકાન જેના હાથમાં હોય એની ન્યાયપ્રિયતા પણ આવી જ હોવી જોઈએ .જે મહારાજાએ એક અખંડ ભારત માટે સૌપ્રથમ પોતાનું રજવાડું સરકારને સોંપી દીધું હતું શું એ મહારાજાનો આત્મા ક્યાંક દુભાતો નહીં હોય ?
દીપિકા ચાવડા " તાપસી ".