*શબ્દ વાવેતર એક પરિવાર*
*( ગદ્ય વિભાગ )*
*નામ:- હીના સોલંકી ' હેનુ '*
*શબ્દ:- પ્રતિબિંબ*
*પ્રકાર:- લઘુકથા*
*શીર્ષક:- હેમુભાઈનું વ્યક્તિત્વ*
*પ્રસ્તાવના:-*
પ્રતિબિંબ એટલે અરીસાની સામે રહેલો ચહેરો. અરીસાની સામે આપણી જાતને જોવી એ પ્રતિબિંબનું કિરણ છે. કોઈ વ્યક્તિનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવક હોય, સાચી સમજણ સાથે જીવતું હોય અને બધા સંબંધો સુપેરે સાચવતું હોય તેવી વ્યક્તિનું પ્રતિભાવ જોઈ આપણને તે વ્યક્તિ પ્રેરણાદાયી લાગે છે. એવા સારા ગુણનું પ્રતિબિંબ આપણા પર પડે તેવી અપેક્ષા રાખીએ એ યોગ્ય જ કહેવાય.
*રચના:*
જીવનમાં દરેક વ્યક્તિને કામધંધાની જરૂર તો હોય છે. કોઈ પણ નાનું કે મોટું નથી હોતું. આપણે જે કાર્ય કરીએ તે સાચી શ્રદ્ધાથી થાય તેના જેવું ઉત્તમ કામ ક્યાંય નથી. હેતલબેન જૈન દેરાસરમાં છેલ્લા દસ વર્ષથી કામદાર તરીકે પોતાની સેવા બજાવી રહ્યા હતા. કામ તો ઝાડું-પોતાનું પણ તેઓ ક્યારેય એ કામમાં નાનપ અનુભવતા નહોતા. કામ પણ સમયસર પૂર્ણ કરી આપતા.
હેમુભાઈ જે આ દેરાસરના મુખ્ય ટ્રસ્ટી છે. તેઓ સ્વભાવે લીલા નાળિયેર જેવા હતા. અંદરથી શાંત, સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. એક વખત તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું. હજી તો દીક્ષાની તારીખ નક્કી નહોતી થઈ ને એમને આદર-સન્માન આપી અને તેઓને સંયમ માર્ગમાં પાછળ હટ ન થવી પડે તેને પ્રોત્સાહન આપતાં કાર્યક્રમ ગોઠવ્યા હતા.
કાર્યક્રમ પૂર્ણ થતાં હેમુભાઈએ હેતલબેનને બોલાવ્યા અને કહ્યું, " હેતલબેન થોડા સમયમાં મારી દીક્ષાની તારીખ આવી જશે. આર્શીવાદ આપો કે હું સંયમ માર્ગમાં પાછળ ન વળું." તેઓ ક્યારેય કામદારને નિમ્ન ન ગણતાં.
" ભાઇ અમારી શુભેચ્છાઓ તમારી સાથે જ છે." કહી હેતલબેનને થોડાં આંસું આવી ગયા. આટલા મોટા ટ્રસ્ટીને થોડો પણ પોતાની સત્તાનો અભિમાન ન હોતો.
" હેતલબેન તમને ક્યારેય પણ આર્થિક રીતે જરૂર પડે તો કહેજો. સંકોચ ન કરતા. આ ઑફિસમાં જાણ કરજો." હેતલબેન ગદગદ થઇ રડી પડ્યા. પછી હેતલબેન પોતાના ઘરે પરત ફર્યા. તેઓ વિચારો કરતા હતા કે, " આપણે પણ આપણી જાતને શાંત ને સમજદાર બનાવી શકીએ. જો સાચી સમજણ મળી જાય તો જીવન સરળ જીવી શકાય. આવા વ્યક્તિનું ગુણનું પ્રતિબિંબ જો આપણે જીવનમાં ઉતારીએ તો ક્યારેય પાછળ ન પડીએ."
✒️
*આ મારી સ્વરચિત અપ્રકાશિત રચના છે. જેની બાંહેધરી આપું છું.*