ફરી આઝાદીનો તહેવાર આવી ગયો. ફરી એક વાર સૌના હૈયામાં એક દિવસ માટે આઝાદીનું પૂર ઉમટશે. ફરી એક વાર સૌના ડી પી માં દેશપ્રેમ જાગૃત થતો દેખાશે. ઠેર ઠેર સ્વતંત્ર ભારતનો તિરંગો લહેરાશે. મારા દેશની શાન મારો તિરંગો અને બીજે દિવસે એ જ શાનને રસ્તા પર રખડતો જોઉં છું ત્યારે સૌથી વધુ દુઃખ મને થાય છે.
શું આઝાદીનો તહેવાર એટલે એક દિવસ પૂરતો ધ્વજ ફરકાવી સલામી આપી દીધી એટલે પતી ગયું? બાકીના ૩૬૪ દિવસ તમને કંઈ પણ કરવાની છૂટ મળી ગઈ? દેશ પ્રત્યે શું આટલી જ આપણી ફરજ? ના, હું કહું છું કે સ્વતંત્ર ભારત દેશના જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ ૩૬૫ દિવસ, ૨૪ એ કલાક રહે છે.
દેશને ગંદકી, અરાજકતા, અંધશ્રદ્ધા, ગરીબી, અજ્ઞાનતા અને આળસ જેવી જાતજાતની ગુલામીમાંથી મુક્ત કરવો એ પણ એક મહાકાર્ય છે. જે દિવસે દેશ આ બધી ગુલામીમાંથી મુક્ત બનશે. તે જ દિવસે મારી ભારતભૂમિ ખરા અર્થમાં સ્વતંત્ર બનશે. એ માટે આપણે સૌએ કમર કસીને કામે લાગ્યા વગર છૂટકો જ નથી. આ બધામાંથી દેશને મુક્ત કરી મા ભારતીના મુખ પર આઝાદીનું તેજ તો જ આવી શકશે.
વોટ્સએપનું ડીપી બદલ્યા વગર પણ આપણે અનેક રીતે દેશભક્તિ બતાવી શકીએ છીએ.
કચરો નાંખવા કચરાપેટીનો જ ઉપયોગ કરવાની ટેવ નાનપણથી જ પાડવી જોઈએ.
પાણી કે વીજળીનો કરકસરથી ઉપયોગ કરવો.
બિનજરૂરી દેશનું મોંઘું ઈંધણ ન વાપરતાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. નજીકના સ્થળે ચાલતાં જવું અથવા સાઈકલનો ઉપયોગ કરવો.
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કે પોલીસના વાહનને હંમેશા પહેલાં જવા રસ્તો કરી આપવો.
નકામી વાતોમાં સમય વેડફવા કરતાં દેશોપયોગી કામ કરવા.
સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવો. જેથી દેશનું કિંમતી હૂંડિયામણ બહાર ન જતું રહે.
ફક્ત વોટસ એપનું ડી પી બદલવાથી દેશમાં કંઈ નહિ બદલાય. એ માટે તો દરેકે જાતે બદલાવું પડશે તો દેશ બદલાશે.
અસ્તુ.