આજે રથયાત્રા નિમિત્તે સૌ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ.
જય જગન્નાથ.
જય બલભદ્ર.
જય સુભદ્રાદેવી.
આજનો દિવસ તમામ કૃષ્ણભક્તો માટે એક વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ સાથે સાથે આજનો દિવસ કચ્છ માટે ખાસ છે. આજનો દિવસ એ તેમનું નવું વર્ષ કહેવાય છે. આ દિવસને નવું વર્ષ કહેવા પાછળનો એક રસપ્રદ ઈતિહાસ જાણીએ.
કચ્છી નૂતન વર્ષના પ્રારંભ બાબતે કેટલાક પૌરાણિક અને ઐતિહાસિક કથાનકો જાણવા મળે છે. કચ્છની રાજધાનીને કેરાકોટ મધ્યે જામ લાખા ફૂલાણીએ ફેરવી નાંખેલી. કેટલાક સાગરિતો સાથે તે આ પૃથ્વીનો છેડે ક્યાં અને કેવો હશે? તે કલ્પનાને સાર્થક કરવા પ્રવાસે નીકળી પડયો. કહેવાય છેકે તેણે લગભગ છ માસ સુધી રખડપટ્ટી આદરી અને છેવટે જ્યારે તે પરત ફર્યો ત્યારે અષાઢી બીજ હતી. ધરતીએ લીલી ચાદર ઓઢેલી. તેનું કવિ હૃદય અત્યંત પ્રસન્ન થઇ ગયું – તેણે આ શુભ દિવસને કચ્છના નૂતન વર્ષ તરીકે જાહેર કરી દીધું અને ઉત્સાહ ભેર ઉજવણી કરી. ત્યારથી આ દિવસથી કચ્છમાં અષાઢી બીજે નૂતન વર્ષ ઉજવવાનાં શ્રી ગણેશ થયા.
ગગન ગાજે ને મોરલા બોલે, મથેં ચમકે વીજ,
હલો પાંજે કચ્છડે મેં આવઈ અષાઢી બીજ.
આમ કહીને દેશ વિદેશમાં વસતા કચ્છીઓ આજે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપે છે. આજે અષાઢી બીજ છે, કચ્છી નુતન વર્ષનો દિવસ છે. આજે કચ્છમાં તેમજ કચ્છની બહાર રહેતા તમામ કચ્છીઓ આ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરે છે. સમગ્ર રાષ્ટ્રમાં કચ્છ એ એવો વિશિષ્ટ તથા ભાતીગળ ઇતિહાસ ધરાવતો પ્રદેશ છે. તેની નવા વર્ષની કચ્છ નુતન વર્ષની ઉજવણી એ પણ એક વિશિષ્ટતા રહી છે. આ પરંપરા આજે પણ જીવિત છે.
કચ્છ એ દુષ્કાળ ગ્રસ્ત વિસ્તાર છે; અપૂરતો વરસાદ છે. ક્યારેક અછત, અર્ધ અછત-ખેડ કૃષિ પરિસ્થિતી પણ જોવા મળતી રહી છે. ત્યારે વરસાદની ઋતમાં વરસાદ આવે જે કચ્છ માટે અપવાદ રૂપ નિયમ રહ્યો છે. અને વરસાદની ઋતનો પ્રારંભ અષાઢના પ્રથમ દિનથી કચ્છવાસીઓ આકાશ તરફ જોતાં રહે છે, અને વરસાદના આગમનની ઘડી ગણતાં રહે છે. તો આ દિવસોમાં જો વરસાદ થાય તો સમગ્ર કચ્છીઓ આનંદિત થઈ જતા હોય છે.
સમગ્ર કચ્છી બંધુઓને નવા વર્ષનાં વધામણાં🙏
- સ્નેહલ જાની