જેઠ સુદ ૧૦
વિક્રમ સંવત : ૨૦૭૭
કલિ યુગાબ્દ : ૫૧૨૩
દિનાંક : ૨૦.૦૬.૨૦૨૧
------------------------------
આજની ચિંતનકણિકા
----------------------------
(૩૯૩)
---------
બાળક : પાંચમો વેદ !
---------------------------
'માતા' અને 'પિતા' - એ બે શબ્દોનું ભાવવિશ્વ માણ્યા પછી હવે વાત કરીએ બાળકની....
મહર્ષિ અરવિંદ કહે છે :
"શિશુ એક વિકાસશીલ આત્મા છે."
વિકાસની અસીમ સંભાવનાઓ એટલે બાળક.
એક ચિંતકે કહ્યું છે :
"શિશુ આ લોકમાં ગણો પાંચમો વેદ,
ઈશ્વરનો એ એલચી કોણ પામશે ભેદ !"
બાળક એટલે ક્ષણેક્ષણ વિકસતો જીવ. એની દૃષ્ટિ પ્રશ્નાત્મક છે, એનું હૃદય ઉદ્ગારાત્મક છે, એના વ્યાકરણમાં પ્રશ્ન અને ઉદ્ગાર છે, પૂર્ણવિરામ ક્યાંય નથી. બાળક એટલે મૂર્તિમંત ગતિ, અલ્પવિરામ પણ નહીં ! એનું સંપૂર્ણ વ્યક્તિત્વ ગત્યાત્મક છે.
એના માટે એમ કહેવાય કે --
अनन्यो आनन्दरूपो अनन्तो अहम् ।
એ અનન્ય છે, આનંદસ્વરૂપ છે અને અનંત સંભાવનાઓનો ધારણકર્તા છે.
એક પશ્ચિમી ચિંતકે કહ્યું છે :
"Every child born into this world is a new thought of God, an ever fresh and radiant possibility."
બાળશિક્ષણના પ્રખર ચિંતક શ્રી ગિજુભાઈ બધેકા કહે છે :
"ઈશ્વરની સૃષ્ટિમાં બાળક એક અદ્ભુત નિર્દોષ સર્જન છે. આપણે તેની માનવંદના કરીએ. બાળક એ તો ઈશ્વરના વિકલ્પે પૂજી શકાય તેવું પાત્ર છે."
ફિલિપ્સ બ્રુક્સ નામના ચિંતક કહે છે : "માનસજાતનું ભાવિ નાના બાળકના પગ વડે આગેકૂચ કરે છે."
બાલદેવની આરાધના કરીએ.
--- હર્ષદ પ્ર.શાહ
કુલપતિ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી
ગાંધીનગર, ગુજરાત