શહેરમાં ચાલતા ‘કોચિંગ ક્લાસ’માં વિદ્યાર્થીઓનો ધસારો થાય છે, ત્યાં વિદ્યાર્થીઓ શાન્તિથી ભણે છે, તોફાન કરતા નથી. આ કોચિંગ ક્લાસ વિદ્યાપીઠોનાં પૂરક અંગ છે એમ માનવાની કોઈ રખે ભૂલ કરે. એ ક્લાસ નભે છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ બનાવવાની એની વહેવારુ ઉપયોગિતાના પર. જ્ઞાનના વિકાસ કે સંવર્ધન સાથે એને કશી નિસબત નથી. વિદ્યાપીઠના વર્ગોમાં આથી જ વિદ્યાર્થીઓને તોફાન કરવાનું પરવડે છે. આવા કોચિંગ ક્લાસ સાથે વિદ્યાપીઠના અધ્યાપકો પણ છૂપો કે પ્રગટ સમ્બન્ધ ધરાવતા હોય છે. પરીક્ષામાં ઉપયોગી થઈ પડે એવાં સાહિત્યનો ઢગલો વળે છે. આ સાહિત્ય વિદ્યાર્થીઓને જ્ઞાનના મૂળ સ્રોત સુધી જવા દેતું નથી.
- સુરેશ હ. જોષી