આ સાડા ત્રણ મણનું સુતર ગૂંથાયું,
તેનો હાથ ન લાગ્યો તાર...
શુ કરે બુદ્ધિ બાપડી,
જેના ઘટમાં ઘોર અંધકાર - ટેક
તે અંધારું ઉલેચવા ભલે ને,
અનેક કરે ઉપાય...
અનુભવ અર્ક ઉગ્યા વિના,
કોઈ કાળે અળગું ના થાય - ટેક
ક્યાંથી જીવ આવ્યો પિંડ મધ્યે,
ક્યાં તેનો વાસ...
પિંડ પડ્યા પછી એ ક્યાં જશે,
એની કોઈએ ન કરી તપાસ - ટેક
એમ વિચાર વિનાના બહુ ગયા,
ગયા ઘસતા હાથ...
સદગુરુ લક્ષ્ય સેવ્યા વિના,
કેમ મળે દીનાનાથ - ટેક
તૃષા મટે નહિ જળ વિના,
ભૂખ ભોજન વિના ના જાય...
ગુરુ વિના હરિ ના મળે,
ભલે ને કરે કોટી ઉપાય - ટેક
થોડામાં ઘણું કહ્યું એ તમે,
કોઈના બેસસો ઘાટ...
કહે ' છોટમ ' સજ્જન સમજશે,
દુર્જન ભમે બારે વાટ - ટેક