તારક મહેતા અને "દુનિયાને ઉંધા ચશ્મા"
ચતુર્થ (૧ માર્ચ ૨૦૨૧) પુણ્યતિથિએ પ્રેમપુર્વક શર્ધ્ધાંજલિ
આપણા નાગર બંધુઓનો ધનોપાર્જનનો વ્યવસાય “ કલમ, કડછી અને બરછી”કલમ અને કડછી શબ્દ તો જાણીતા છે; પણ ‘બરછી’ શબ્દ માટે નવી ‘વોટ્સ એપ્સ’ પેઢીને શબ્દકોષનાં પાના ઉથલાવવા પડે બરછી, એટલે એક જાતનું નાનું શસ્ત્ર,છરો -શીખોના કિરપાણ જેવું, જે યુધ્ધમાં કામ આવે. જ્યોતિન્દ્ર ભાઇ અને ઘનસુખલાલે કલમને અપનાવી, તો જ્યોતિન્દ્ર ભાઇ તનસુખ ના પામ્યા, અને ધનસુખલાલ ધનથી વંચિત રહ્યા. આ ઉપરથી દાખલો લઇ તારક ભાઇએ કલમ, કડછી અને બરછીનો યથોચિત ઉપયોગ કર્યો. તારક ભાઈ, માધ્યમિક શીક્ષણ અમદાવાદની કાંકરિયા પ્રોપ્રાયટરી (હાલની) દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલમાં મેળવી ૧૯૪૫માં ૧૬ મે વર્ષે એસ એસ સી ની પરીક્ષા પાસ કરી. અમદાવાદની એચ એલ કોમર્સ કોલેજ જોઈન્ટ કરી. સ્કૂલના વાતાવરણથી તદ્દન મુક્ત કૉલેજનું વાતાવરણ મળતાં, નાગરી જ્ઞાતનો મુળભૂત તેમનો 'રોમાન્ટીક' સ્વભાવ જાગૃત થઈ ઉઠ્યો. કૉલેજ કપ્માઉન્ડમાં પ્રેમ? અને તે પણ રણવગડા જેવી શુષ્ક વિષય ભણાવતી કોમર્સ કોલેજમાં! કોલેજના પ્રીન્સીપાલ શ્રી એસ.વી. દેસાઈ - મુની દુર્વાસાનો અવતાર. તેમનો ક્રોધ ભભુકી ઉઠ્યો. કોલેજમાંથી 'રર્સ્ટીકેટ' કર્યા. નાગરનો છોકરો, ભણ્યા વગર રહે? બને જ નહી; અને મુંબાઇની વાટ પકડી. ખાલસા કોલેજમાં એડમીશન મેળવી ૧૯૫૮માં ગુજરાતી વિષયમાં બી. એ. અને ભવન્સ કોલેજમાંથી ગુજરાતીમાં એમ. એ. ની માનદ પદવી મેળવી ગુજરાતી સાહિત્યમાં પગરણ માંડ્યાં.
એચ.એલ. કોલેજમાંથી ‘રસ્ટીકેટ’ થવાથી તેમણે મુબાઇની વાટ પકડી. મુંબાઇ એટલે (અં.મેલ્ટીંગ પોટ) ઉકળતો ચરુ. “બાવો બેઠો જંપે, ‘ને જે આવે તે ખપે” મુંબાઇ ગયેલો કોઇ મુંબાઇથી પાછો ના ફરે. કૈંઇને કૈંઇક કામધંધો શોધી કાઢે.તારક ભાઇને પણ ‘ચિત્રલેખા’ના શ્રી વજુ કોટકનો સાથ મળ્યો; દોડવું હતું ‘ને ઢાળ મળ્યો. મુંબાઈ આવ્યા પન્નાલાલ ટેરેસમાં રૂમ ભાડે રાખી, કૉલેજ જોઇન્ટ કરી. અભ્યાસ સાથોસાથ ઇતર સાહિત્ય વાંચન પણ શરૂ કર્યું. તેમનો પ્રિય અને રસિક વિષય હાસ્ય, અને પ્રિય લેખક 'ઈબ્સન'. તેમના પગલે પગલે તેમણે સાહિત્યમાં પદાર્પણ શરૂ ક્ર્યું "દુનિયાને ઉંધા ચશ્મા"ના પાત્રો, 'ચંપક લાલ; 'ટપુડો' 'ડૉ. હંસરાજ' વગેરે તેમના પન્નાલાલ ટેરેસમાં તેમના સામે હરતાં ફરતાં જીવંત પાત્રો. મનોવિશ્ર્લેષણ સ્વભાવ હોવાથી તેમને તેમાં સહજ હાસ્ય લાધ્યું અને તેનું શબ્દરૂપાંતર એટલે "દુનિયાને ઉંધા ચશ્મા"
વર્ષ 2008માં જ્યારે 'તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા' સિરિયલનું પ્રસારણ ટીવી પર શરૂ થયું ત્યારે તારક મહેતાના પાત્રો જેઠાલાલ, દયા, ટપુ જાણે ઘરઘરમાં જીવંત બન્યા. તારક મહેતાના લેખ 'દુનિયાને ઊંધા ચશ્મા' પરથી પ્રેરિત આ સિરિયલથી તેમને અઢળક પ્રસિદ્ધિ પ્રાપ્ત થઇ. જ્યારે સૌ પ્રથમ તેમની સામે 'દુનિયાને ઊંધા ચશ્મા' કોલમ પરથી સિરિયલ બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો, ત્યારે ખૂબ વિનમ્રતા સાથે તેમણે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો. સિરિયલ માટે અનુમતિ આપ્યા બાદ પણ તેઓ એના એપિસોડ લખવા માટે નહોતા માન્યા. સિરિયલ પ્રખ્યાત થયા બાદ પણ તેમણે પોતાના લખાણના મૂળ રૂપને વળગી રહેવાનું જ પસંદ કર્યું હતું. "મતલબ કે લિયે અંધે હોકર, રોટી કો નહ પૂજા ઉસને."
તેઓ અમદાવાદમાં નિવૃત્ત જીવન વિતાવતા હતા, આમ છતાં તેમણે 'દુનિયાને ઊંધા ચશ્મા' લેખ લખવાનું ચાલુ રાખ્યું હતું. સ્વ શ્રી રમણભાઈ નિલકંઠ, સ્વ.શ્રી જ્યોતિન્દ્ર ભાઈ દવે, તથા અન્ય હાસ્ય લેખકોની હરોળમાં સ્થાન મવ્યું છે. ૮૦ ઉપરાંત પુસ્તકો લખી ગુજરાતી સાહિત્યની અજોડ સેવા કરી છે. તારક મહેતાના પ્રસિદ્ધ દુનિયાને ઊંધા ચશ્મા, તારક મહેતાનો ચંપક લાલ, ટપુડો વગેરે સમાજમાં પર્યાય બની રહયા છે.