દુનિયા નો કોઈપણ સંબંધ ને સાચવવાની જવાબદારી બંને પક્ષે જ હોય છે.એક પક્ષકાર હંમેશાં પહેલ કરતો રહે અને સામેથી આવી કોઈ જ પ્રકારની પહેલ કરવામાં ન આવતી હોય ત્યારે એવાં સંબંધ નું આયુષ્ય આપોઆપ ઘટી જતું હોય છે. ઘણા લોકો આત્મસ્વમાન નાં ભોગે પણ છેલ્લે સુધી સંબંધ સાચવવાનો પ્રયત્ન કરતાં હોય છે.ખરેખર તો આવા વ્યક્તિઓ ને સાચવી લેવાની જરૂર હોય છે. એ તમને યાદ કરતાં રહે,એ તમને બોલાવતા રહે કે એ તમારી કાળજી લેતાં રહે એનો અર્થ એવો નથી કે એ સાવ નવરાં છે એમની પાસે બીજુ કશું કામ નથી બલકે એનો અર્થ એવો થાય છે કે એમના જીવનમાં કામ કરતાં પણ અગત્યનો તમારી સાથેનો સંબંધ છે. એમની કાળજી માં સ્વાર્થ નથી પરંતુ તમારા પ્રત્યે નો પ્રેમ છે.આવા વ્યક્તિઓ ને કયારેય Taken for granted ન લેવા જોઈએ. જીવનની ખોટી ભાગદોડ માં આપણે આવા સંબંધોની છાતી ઉપર પગ મૂકીને નિકળી જતાં હોઈએ છીએ જેની આપણે ખબર નથી રહેતી પરંતુ પછી એક ક્ષણ એવી આવે છે કે જ્યારે દુનિયાના તમામ સુખ અને સગવડ એક બાજુએ રહી જાય છે અને ખાલીપો એક તરફ.ત્યારે બધી વસ્તુ સાવ ફિક્કી લાગે છે અને મન હંમેશાં શોધતું રહશે એ સાચો પ્રેમ,સાચી લાગણી અને સાચી કાળજી. પરંતુ ત્યારે ખૂબ જ મોડુ થઈ જાય છે એ વ્યક્તિ તમને છોડી ને ખૂબ આગળ નીકળી ગઈ હોય છે. અને કદાચ એ વ્યક્તિ તમારી સાથે પણ રહેતી હોય છતાં પણ એનાં હદય માં રહેલું તમારું સ્થાન તમે ગુમાવી ચૂક્યા હોય છે. ત્યારે કદાચ એવું પણ બને કે એ વ્યક્તિ તમારી જેમ જ તમને Taken for granted લેતી થઈ ગઈ હોય છે. વસ્તુ કે વ્યક્તિ આપણને એને ગુમાવ્યા પછી જ એનું મૂલ્ય સમજાય છે. એ વ્યક્તિની હાજરીમાં એની સાથેની દરેક ક્ષણ અને એ આખેઆખી વ્યક્તિને ઉજવી લેવાનું આપણને આવડતું જ નથી ! એ સમયે આપણને આપણો ઈગો નડતો હોય છે. હું શા માટે એને સામેથી બોલાવું ? હું શા માટે એને સામેથી કોલ કે મેસેજ કરું? મારે એની શી જરૂર છે ? મારે એનાં જેવું થોડી છે મારે બીજા પણ કામ અને લોકો હોય છે. મને સામેથી વાત કરવાનું નહીં ફાવે. આવાં તો કેટલાય સવાલ અને કારણો હોય છે જેમાં આપણો અહમ્ અડ્ડો જમાવીને બેઠેલો હોય છે.
બુધ્ધિ નું બળ હોય ત્યાં સુધી આંખ ની અંદર એક ડેમ બંધાયેલો રહે પરંતુ જીવનમાં એક સમય એવો આવે કે જયારે આવી વ્યક્તિઓ નું મૂલ્ય સમજાય અને પસ્તાવાનાં પાણીથી એજ ડેમ ઓવરફ્લો થાય. આંખ માં ઉભરાય જતાં દરેક ડેમ એ કોઈ વ્યક્તિ ની ખરા સમયે કિંમત ન કરી હતી તેની નિશાની છે. આવી બે ચાર નિશાની તો તમારી પાસે પણ હશે જ. ગુમાવ્યા પછીનું જ્ઞાન એ અજ્ઞાન ની લગોલગ જ હોય છે. માટે ગુમાવ્યા પહેલાં જ ચેતી જઈ આપણને પ્રેમ કરતાં લોકોને આપણે સાચવી લઈએ એમાં જ સમજદારી છે. વર્ષ બદલાયુ છે ત્યારે ચાલો આપણે આપણો એટીટ્યુડ પણ બદલીએ. વર્ષ 2021 માં નવો સંકલ્પ કરીએ કે હવેથી આપણે પણ આપણને સાચવતા લોકોને સાચવી લઈએ.
ડો જય વશી