જય વસાવડા લિખિત આટલી સરસ અંજલિ ગુજરાતને ભાગ્યે જ કોઈએ આપી છે :-
આ ગુજરાત છે...
જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.
જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.
ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.
શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠેલું ગુજરાત.
ફળફળતાં ઢોકળાં જેવું નરમ
અને
માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત...
પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું.
હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું
અને
કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું.
કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું
અને
દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું.
ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું...ગુજરાત
સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું
જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે.
મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી
અને
મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ!
મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે
અને
તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે...
મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે
અને
નકશાઓનો એક ઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વાસે છે
ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી
અને
ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો.
મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી.
મહેબુબખાનથી મનમોહન દેસાઇ,
આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે...
વ્હાલા, હું ગુજરાત છું.
હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું
અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું.
હું પરબવાવડીના છું.
મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે
અને
મારી બળબળતી રેતી પર શ્વાન સંગાથે પાણી લઇ દાદા મેકરણ ઘુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું
અને
ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું.
મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું
અને
રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ
જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું...
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે.
પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે.
મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે
અને
સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે.
મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે
અને
ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે.
મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે.
મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે.
મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઉંમર ૫૦ની હશે,
પણ મારી ઉંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.
હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું
અને
જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાંય હું લપાતું હતું.