ગુજરાતે ભારતને અનેક નેતા આપ્યા, ગાંધી, મોરારજી દેસાઈ, વિઠ્ઠલભાઈ, મુનશી, મોદી, શાહ કે અહમદ પટેલ. આ બધામાં સૌથી વધારે મને કોઈ નેતા આકર્ષે તો એ સરદાર. સરદાર પટેલને લોહ પુરુષ તરીકે તમે જાણતા હશો પણ એમની તમે કેટલી કહાની સાંભળી ? નાના હતા ત્યારે ભણવામાં આવતી પેલા ગુમડાં પર ડામ આપવા વાળી કહાની? કે પછી ભારતનાં ૫૬૨ રજવાડાઓને એક કરી અખંડ ભારત બનાવાની કહાની? કે પછી જુનાગઢનાં નવાબને ભગાડ્યો એ કહાની? કે પછી હૈદરાબાદમાં ઓપરેશન પોલો ચલાવ્યું એ કહાની? સરદાર એ વીરતાની કહાનીથી ભરેલ પાત્ર છે પણ એમના જીવનમાં ૩ વાત મને સૌથી વધુ આકર્ષે એ ૩ વાત તેમની કામ પૂર્વકની નિષ્ઠા દર્શાવે છે, બહાદુરી દર્શાવે છે, સાદગી દર્શાવે છે, ઈમાનદારી દર્શાવે છે, દુરંદેશી દર્શાવે છે, કુશળ રણનીતિકાર અને નેતૃત્વ દર્શાવે છે. સરદારનાં જીવન પરની આ ૩ વાત તમને અચૂક ગમશે
૧) વાત ૧૯૦૯ની છે.
જયારે પટેલની ઉંમર માત્ર ૩૩ વર્ષની હતી, પટેલ વકીલાત કરતા, એ વખતે બરોડા અદાલતમાં કેસ ચાલતો હતો. આરોપીને સરદાર પ્રશ્નો પૂછી રહ્યા હતાં.કેસ ચાલુ હતો એ જ વખતે પટેલને એક ટેલિગ્રામ મળે છે. પટેલ ટેલિગ્રામ વાંચે છે. કાગળ વાળીને પાછો પોતાના ખિસ્સામાં મૂકી દે છે. કેસ આગળ વધારે છે. અમુક સમય પછી જયારે કોર્ટની કાર્યવાહી પૂરી થાય છે એટલે જજ પૂછે છે ચાલુ સુનાવણીમાં કોર્ટની કાર્યવાહીમાં વિલંબ થયો હતો, ત્યારે આવેલો ટેલિગ્રામ શું હતો પટેલ? મારી પત્ની ઝવેરબાને મુંબઈ હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન કરાવેલું એમના માઠા સમાચાર હતા. ઝવેરબા રહ્યા ન હતા એ પટેલને ચાલુ કેસએ ખબર પડી હતી છતાંય પટેલએ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કર્યું. તમે કે હું કરી શકીએ? વિચારીએ એટલે મને પટેલ પ્રિય છે..!
૨) આ વાત માણેકશો એ પ્રેમ શંકર જહાને કરેલી એ અહીં કહેવી જરૂર ગમે. કશ્મીરનો પ્રશ્ન ઉકેલાયો ન હતો. જુનાગઢ, હૈદરાબાદ પટેલે ઉકેલી દીધું હતું. પાકિસ્તાને કશ્મીર કબજે કરવા માટે કબાલીઓને મોકલી દીધા હતા. નેહરુ “યુએન, બ્રિટન” કરતા હતા. કેબિનેટ મિટિંગ ચાલતી હતી. માઉન્ટ બેટન ત્યાં જ હતાં સરદાર, માઉન્ટ બેટન, નેહરુ અને અન્ય કેબીનેટ મીનીસ્ટર. માણેકશો એ વખતે આપણા ચીફ ઓફ આર્મી હતા એમને રાજનૈતિક ઓર્ડરનો ઈંતઝાર હતો.ચાલુ મિટિંગએ પટેલે નહેરુને પૂછ્યું “નેહરુ કશ્મીર ચાહિએ યા નહિ” નેહરુ એ કીધું “ઓફ કોર્સ ચાહીએ” પટેલે માણેકશોને કીધું જાવ તમને તમારો ઓર્ડર મળી ગયો. રણનીતિકાર, દુરંદેશી વ્યક્તિત્વ. બેટન બેઠો હતો એટલે પટેલે આડકતરી રીતે પૂછ્યું અને આડકતરી રીતે માણેકશોને પ્રધાનમંત્રીનો ઓર્ડર આપ્યો.આ હતા સરદાર.
૩) છેલ્લીવાત સરદાર કરતાં વધુ સરદારનાં સંસ્કાર અને ઈમાનદારીની
ઓળખો છો તમે આજના જમાનામાં કે સરદારનાં વંશજ કોણ છે? સરદારનાં પુત્ર કે પુત્રીનું નામ વેઢે ગણાય એટલા લોકોને ખબર હશે..મણીબેન અને ડાહ્યાભાઈ. બસ આ બંને પછી તમે કોને ઓળખો છો? કોઈને નહિ ઓળખતા હોવ. આ સરદારનાં સંસ્કાર છે..સરદારની ઈમાનદારી છે…સરદાર ચાહત તો પોતાની આવનારી પેઢીને અમુક નેતાઓની જેમ સુરક્ષિત કરી શક્યા હોત..પણ સરદાર સરદાર હતા..એમનાં માટે એમનો દેશ સર્વોપરી હતો.સરદાર હંમેશા ધોતી ઝભ્ભામાં જ દેખાય. આણંદમાં સમીર પટેલ અને હિમાંશી પટેલ જે સરદાર પટેલનાં પૌત્ર – ભત્રીજા અને ભત્રીજાવહું છે જે સબવે રેસ્ટોરન્ટ ચલાવે છે અને મ્યુઝીક સ્ટોર ચલાવે છે..! આ સરદાર છે અને એમનું વ્યક્તિત્વ..! કુશળ વ્યક્તિત્વએ ગુજરાતી ધરા પર જન્મ લીધો એનું ગૌરવ છે અને ગુજરાતે અનેક નેતા આપ્યા છે આગળ પણ આપશે જ.