મિથ્યાનો બીજો અર્થ એ છે કે, જગતના બધા પદાર્થો પરમાત્માના સાકાર સ્વરૂપ જેવા છે. જગત એ બીજું કાંઈ જ નથી પરંતુ પરમાત્માનું પ્રતિક છે. જુદા જુદા નામ ને રૂપ ધારણ કરીને જગતના રૂપમાં એકમાત્ર પરમાત્મતત્વ જ વિલસી રહ્યું છે. સુવર્ણનાં ઘરેણાં જેમ સુવર્ણથી જુદા નથી, પરંતુ મૂળભૂત રીતે સુવર્ણ જ છે. કુંભારે ઘડેલાં માટીનાં જુદાં જુદાં વાસણો જેમ માટી વિના બીજું કશું જ નથી, અને અગ્નિના જુદા જુદા અંગારા અગ્નિ વિના બીજા કશાનો આર્વિભાવ નથી, તેમ જગત બાહ્ય રીતે જોવાથી ભાતભાતના ભેદવાળું દેખાતું હોવા છતાં, અંદરખાનેથી જોતાં પરમાત્માનું જ સ્વરૂપ કે પરમાત્મા જ છે. એ અર્થમાં જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે, વાસુદેવ: સર્વમિતિ: એટલે કે બધું વાસુદેવ કે પરમાત્મારૂપ જ છે. જ્ઞાનમયી દૃષ્ટિ થવાથી એવી સમજણ અને અનુભૂતિ સહજ થઈ રહે છે. એમાં જગતને ઉડાવી દેવાની વાત નથી, જગતનો નિષેધ કરવાની ભાવના પણ નથી, પરંતુ જગતને એના સત્ય સ્વરૂપમાં ઓળખવાની કે સમજવાની વૃત્તિ છે. શંકરાચાર્યને આવી વિશાળ દૃષ્ટિથી સમજવાની જરૂર છે.