ઋષિનાં લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. ઋષિ અમેરિકા હતો ત્યારે જ રીતિ સાથે એનું સગપણ નક્કી થઈ ગયું હતું. બધુ જ ઓનલાઈન! જોવાનું ગોઠવવાથી માંડીને એકબીજાને હા પાડવા સુધીનું. ગોળધાણા પણ બધાએ પોતપોતાને ઘરે વિડીઓ ચાલુ રાખીને ખાધા હતાં.
વૈશાખ મહિનામાં લગ્ન લેવાનું નક્કી થયું હતું. કોરોના વાયરસે આખી દુનિયા પર કબ્જો જમાવ્યો. ત્યાં જ વચ્ચે લોકડાઉન આવી ગયું. લગ્ન પાછળ ઠેલાયા. ક્યારે એ નક્કી ન હતું. પછી અનલોકની જાહેરાત થઈ. થોડા સમય પછી વિમાન ઉડ્ડયનની પણ મંજુરી મળી.
ઋષિ ભારત આવ્યો. એનાં ઘરે પહોંચ્યો. ફરીથી નવા નિયમો, નવી છૂટછાટ મળે એની રાહ જોવાતી ગઈ. અંતે એ દિવસ આવી ગયો. પહેલાં 50, પછી 100 અને પછી 200 લોકોની મંજુરી મળી. અંતે એવું નક્કી થયું કે રીતિનાં ઘરે એ લોકો અને આ બાજુ ઋષિના ઘરે ગ્રહશાંતિ આગલા દિવસે જ 150 લોકોની વચ્ચે કરી દે અને બીજા દિવસે લગ્નમાં બન્ને પક્ષ તરફથી 50 - 50 એમ 100 જ લોકોની હાજરીમાં લગ્ન કરવા.
દિવાળીના તહેવાર દરમિયાન મળેલી છૂટમાં બાકી રહેલી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી. બધાંને આમંત્રણ પણ અપાઈ ગયાં. પણ 'સમય બડા બળવાન' એ નિયમ મુજબ ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા. ફરીથી બધાં નિયંત્રણો શરુ થઈ ગયા. સરકારે રાત્રે 9 થી 6 કરફ્યૂ મૂકી દીધો. આથી બંને ઘરનાં વડીલોએ ભેગા મળીને લગ્નનો સમય બપોરનો કરી નાંખ્યો. ફરીથી બધાને જાણ કરી.
મુસીબત તો હવે શરુ થઈ. માત્ર 50 જ લોકોને ભેગા થવાની છૂટ આપી. હવે બધાં મુંઝવણમાં છે કે શું કરવું? 'આમંત્રિત કરેલ મહેમાનોમાંથી કોને ના પાડવી? સમાજમાં નીચું જોવાનું થશે', એમ બધાં વિચારવા માંડ્યા. શું કરવું એ સમજ પડતી નથી.
મિત્રો, આ તો થઈ એક જ લગ્નની વાત. આવા તો હજારો લગ્નો છે જે લોકડાઉનને લીધે અટવાયા છે. કેટલાય લોકોએ તો આ વર્ષ પૂરતું લગ્ન કરવાનું જ માંડી વાળ્યું. ક્યારે જશે આ કોરોના અને ક્યારે બધાં પહેલાંની જેમ સામાજિક પ્રસંગો ઊજવી શકશે?
#લોકડાઉન