Gujarati Quote in Blog by Neha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યોતિષ એક વિચારણા...

જ્યોતિષના અમુક સમયે જન્મેલા જાતકને વિશેષ લાભ / હાની કરે છે એવી જ્યોતિષ શાસ્ત્રની કે 
એસ્ટ્રોલોજીની માન્યતાને વૈજ્ઞાનિક રીતે સિધ્ધ કરી શકાઈ નથી. આમ છતાં આજનો ભણેલો કે 
અભણ,શહેરી કે ગ્રામજન, લગભગ બધાજ લોકો જ્યોતિષમાં વત્તે ઓછે અંશે જ્યોતિષમાં માને છે. 
કેટલાક તો વળી સવારના પહોરમાં છાપું હાથમાં લઈ જ્યોતિષનું કોલમ વાંચ્યા પછી દિવસનો
કાર્યક્રમ નક્કી કરી બીજા સમાચાર વાંચે છે. મોટાભાગના દૈનિક અખબારો જ્યોતિષની કોલમને
આધારે જ ચાલે છે, એમ કહું તો ક્ષમા કરશો. વાર તહેવારે જે દિવસે અખબાર બંધ હોય તો
તેમનો દિવસ ઉદાસીન અને આળસમાં જાય છે.
નભોમંડળના સૂરજ દાદા, ચાંદા મામા, મંગળદાસ, બુધાકાકા, ગુરૂદાસ, શકરચંદ કે શનાભાઈએ
તેમની કોઈ સત્તાવાર એજન્સી પૃથ્વી પર કોઈને આપી છે કે નહિ તે્ની મને તો ખબર નથી, છતાં
ઠેર ઠેર જ્યોતિષની હાટડીઓ નજરે ચઢે છે. કોઈપણ અખબાર કે સામાયિક ઉઘાડતાં જ મોટા અને
ધ્યાન ખેંચતા અક્ષરોમાં જ્યોતિષની જાહેરાતો નજર સમક્ષ આવે છે. આકાશી ગ્રહોએ આવી કોઈ
એજન્સી આપી છે કે કેમ તે એક તપાસનો વિષય છે,માટે તપાસ પંચની નીમણુંક કરવી જરૂરી છે.
ભગવાન વિષ્ણુના (મિનિસ્ટર ઓફ ફોરેન અફેર્સ) શ્રી નારદજી પાસે સ્વર્ગ અને પથ્વીનો પરમેનન્ટ
વીઝા ભગવાને આપેલો તેથી તેઓશ્રી સ્વર્ગ અને પૃથ્વી ઉપર ભ્રમણ કરી પૃથ્વી પરના સમાચાર
ભગવાનને પહોંચાડતા. આપણા સુનિતા બહેન પણ વિશ્વમાનવ તરીકે આવી સેવા બજાવે છે, તેઓ
પણ અવકાશમાં અને પૃથ્વી પર આંટા ફેરા કરે છે. આપણા નીલ આર્મસ્ટ્રોંગ ભાઈ પણ મોસાળમાં
ચાંદા મામાને ઘર જઈને મોજ માણી આવ્યા છે. તેઓ તો આપણી પૃથ્વીના માનવો હતા અને છે.
તેઓની પણ જન્મકુંડળી તો હશે જ ને ? એમની જન્મકુંડળીમાં ચન્દ્ર ઉચ્ચનો, નીચનો, સ્વગ્રહિ કે
ચંદ્રની દશા મહાદશા ચાલતી જ હશે, તેમને આની શી અસર થઈ ? હજુ સુધી કોઈ જ્યોતિષવિદે કે
વૈજ્ઞાનિકે આ અંગ કેમ કોઈ પ્રકાશ ફેંક્યો નથી?
ક્ષમા કરશો, આ કથન (બાલશેમ્પી) કોઈની લાગણી દુભાવવા માટે નથી. આપણા પુરાણોમાં
ભગવાનના દસ અવતારોની વાત છે. આજે પણ આપણે તેમને ભગવાન તરીકે માનીએ અને
પુજીએ છીએ, તેમના વચનોનું યથા યોગ્ય સમયે કંઈક અંશે યથાયોગ્ય રીતે પાલન પણ કરીએ
છીએ. રામ ભગવાન હતા, વશીષ્ઠ ઋષિ જેવા વિદ્વાન દશરથ રાજાના રાજ દરબારમાં રાજ જ્યોતિષી
હતા તેમણે રાજ્યાભિષેકનું મુહૂર્ત તો જોવડાવ્યું જ હશેને, તો શ્રી ભગવાન રામચન્દ્રજીએ શા માટે
વનવાસ વેઠવો પડ્યો? 
ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ગીતાનો અમર ઉપદેશ આપી જીવન રહસ્ય સમજાવ્યું, તે ઉપદેશ આજે
અમર અને જગમાન્ય છે. શ્રી કૃષ્ણ તો ભગવાન હતા, રાજા હતા, તો રાજમહેલમાં રાજશય્યાને
બદલે શા માટે એક સામાન્ય પારધીના બાણથી વૃક્ષ નીચે દેહત્યાગ કરવો પડ્યો ?
આ બધું વાંચ્યા જાણ્યા છતાં રોજ ને રોજ બીલાડીના ટોપની જેમ જ્યોતિષની નવી હાટડીઓ
ખુલતી જ જાય છે. શું આ હાટડીઓના માલિકોએ સુનિતા બહેન દ્વારા આ ગ્રહોના માલિકો સાથે
કોન્ટ્રેક્ટ કર્યો છે ?
જ્યોતિષમાં માનનારા લોકોને મારો પ્રશ્ન છે કે તેમના દાંપત્યજીવનની સફળતા કે નિષ્ફળતાનો
આધાર જ્યોતિષ આધારીત કેટલો ? તેનો કોઈ અંદાજ કાઢ્યો છે કે તેઓ સુખી છે કે દુઃખી ?

ઉમાકાનત મહેતા

#જ્યોતિષ

Gujarati Blog by Neha : 111582044
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now