કેમ ઈતિહાસને વાગોળતો રહુ છુ એ પ્રશ્ન ઘણા મિત્રો કરતા હોય છે . અને સમય પ્રમાણે એ પ્રશ્ન યોગ્ય પણ છે . દેશ એકવિસમી સદીના બીજા દશકમાં આગળ વધવા પામ્યો છે . અને મારી એ જ ઈતિહાસની વાતો !
દેશ , દુનિયા કે માણસને ઈતિહાસ જ સમજાવે છે , સાચા માર્ગ પર લઈ જાય છે , જે ભુલો થઈ તે ન થાય અગર સુધરી જાય એ માટે દેશ , દુનિયા અને માણસ માટે ઈતિહાસ અનિવાર્ય છે . આપણને ગુલામ બનાવ્યા અને અત્યારે પણ છીએ . હા, તફાવત એટલો છે કે તે સમય કોઈ ઔર હતા , વર્તમાનમાં આપણા છે . પ્લાસીનુ યુદ્ધ અને યવનોનું આર્યાવર્ત પર શાસન એ વાત સમજવી જરૂર છે . જો યવનોને કોઈ મીર ઝાફર ના મળ્યો હોત તો આ દેશની છબી અલગ હોત .
આર્યાવર્ત ની ઘણી ભુમિ ભાગ પર બદલાતા અંગ્રેજ અધિકારીઓ એ કબજો જમાવવાનુ કાર્ય કર્યું . બનારસ , રોહિલખંડ અને બંગાળમાં વોરન હેસ્ટિંગ્ઝે એ વૃક્ષને સારી રીતે ઉછેર્યું જે ભારતદેશની બરબાદીના મુળિયારુપ બની રહ્યું . મ્હૈસૂર , અસાર , પૂના અને સાતારા સરખી ફળદ્રુપ જમીનમાં વેલેસ્લીએ પણ એ જ કાર્ય કર્યું . અંતે તેની વેદના અને તેની અસર હજુ પણ ૧૯૪૭ પછીના ભારતમાં જોવા મળે છે .
અંગ્રેજ ઇતિહાસકારોનો "અંગ્રેજી સામ્રાજ્યનો સ્થાપક " ઉર્ફે ડેલહૌસી સાકરે ઝેર વીંટીને ભારતના રજવાડાને ખવડાવતો રહ્યો .
જેમ રંગમંચ પર કોઈ નાટક કરતા પહેલા તેમની પ્રેક્ટિસ કરવામાં આવે છે એમ ૧૮૦૮ થી આઝાદીના ખેલની પ્રેક્ટિસ કરવામાં આવી હતી , જે ક્યાંક હજુ પણ ચાલુ છે .
મનોજ સંતોકી માનસ