આજનાં આ વ્યાપક ભ્રષ્ટાચાર અને ચોરી લૂંટફાટ ધરાવતાં વિશ્વમાં કોઈ કોઈનાં પર વિશ્વાસ ન મૂકે તે સ્વાભાવિક જ છે. કઈ વ્યક્તિ વિશ્વસનીય છે તે નક્કી કરી શકાતું જ નથી. હજુ પંદર દિવસ પહેલાનાં જ સમાચાર છે કે કોઈ એક ગામમાં એક પિતાએ વારસાના ઝગડામાં પોતાનાં જ પુત્રને છરીના ઘા મારી રહેંસી નાંખ્યો. કારણ એટલું જ હતું કે પિતા ઈચ્છતા નહોતા કે એનાં પુત્રને એણે પોતાની મિલકતમાંથી કંઈ પણ આપવું પડે.
શું આ કિસ્સામાં પિતા વિશ્વસનીય છે? એક બાળક કોઈ પણ જાતનાં વહેમ વગર માતા પિતા પર આંધળો વિશ્વાસ મૂકે છે. જો પોતાનાં જન્મદાતા જ વિશ્વસનીય ન હોય તો બીજા કોના પર વિશ્વાસ મૂકવો? એક ખૂબ જ સારો કહેવતો મિત્ર નજીવી રકમની લેણાદેણીમાં પોતાનાં મિત્રનું ખૂન કરી દે છે. નાની અમથી વાતમાં થયેલ ગેરસમજને લીધે પોતાનાં પડોશીનાં બાળકનું અપહરણ કરી એને મારી નાખવામાં આવે છે. પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડનાર છોકરી પર એસિડ હુમલો કરવામાં આવે છે અથવા તો એનો બળાત્કાર કરવામાં આવે છે. કેટલીક છોકરીઓ પણ છોકરાઓને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવે છે. શું આ જ છે બધા વિશ્વસનીય સંબંધો? શું પોતાની સાથે આવી ઘટના/દુર્ઘટના બન્યા પછી કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને વિશ્વસનીય માનશે?
કોઈનાં વિશ્વસનીય બનવું એ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરું છે.
#વિશ્વસનીય