શંકરના પુત્ર ગણપતિનું સ્મરણ કરી ભદ્રંભદ્ર બોલ્યા કે, ‘ભારતવાસી આર્યજનો ! શ્રવણ કરો ! આપણી આર્યભૂમિમાં કેટલો અધર્મ વ્યાપી રહ્યો છે, આપણી આર્યનીતિ-રીતિગીતિધીતિપ્રીતિભીતિ ! અહા કેવી તે ઉત્તમ ! અહા શી તે #ઉત્કૃષ્ટ ! અહા ! જયજય શ્રી રંગરંગ ! ઉમંગ ! નંગ ! આવા દેશનું કેવું દુર્ભાગ્ય ! શિવ ! શિવ ! શિવ ! આપણો દેશ પૃથ્વીથી પણ શ્રેષ્ઠ હતો. દેવગણની કૃપા માત્ર આપણા દેશ પર જ હતી. બીજી ભૂમિના લોકોને ઈંદ્રાદિ દેવો વિશે માહિતી નહોતી, ઈંદ્રાદિ દેવોને તેમના વિશે માહિતી નહોતી. આજ લગી નહોતી, હાલ નથી અને હવે પછી નહિ થાય. એવી સર્વ કલા અને પ્રવીણતા, આ આપણા આર્યદેશમાં હતાં. આપણા મુનિઓ ત્રિકાળજ્ઞાની હતા એટલે કોઈ જાતની શોધ કરવાની તેમને જરૂર નહોતી. આપણા બાપદાદા આપણા જેવા જ સર્વ વાતે સંપૂર્ણ હતા. અહા ! હાલ કેવી ભ્રષ્ટતા થઈ ગઈ છે ! લોકો ધર્મહીન થઈ ગયા છે. વેદધર્મ કોઈ પાળતા નથી, પણ નિરાશ થવાનું કોઈ કારણ નથી. આપણો આર્યધર્મ તો સનાતન છે. આપણે હજી એવા ને એવા શ્રેષ્ઠ છીએ. વિપરીત દેખાય છે તે માયા છે. સંસાર સર્વ માયામય છે. માટે ઊઠો ! યત્ન કરો ! જય કરો ! અધર્મીનો નાશ કરો ! અહા ! આપણો ધર્મ કેવો નાશ પામ્યો છે ! શાસ્ત્રની આજ્ઞાને વહેમ કહેનાર આ મૂર્ખ આપણા ધર્મનું રક્ષણ કરવા મળનારી માધવબાગ સભા વિશે કેવળ અજ્ઞ છે. રે મૂર્ખ ! રે દુષ્ટ ! રે પાપી ! તારા જીવતરમાં ધૂળ પડી, તારાથી ગધેડા – ’
હું ભદ્રંભદ્રના પ્રતાપી મુખ તરફ જોઈ રહ્યો હતો. એથી તે એકાએક પડ્યા શાથી તે ખબર પડી નહિ, પણ પેલો વહેમ-વહેમ કહેનાર રજપૂત કાં તો સ્નાનથી મોં પર બધે પસરી ગયેલા કંકુનો લેપ જોઈ ઉશ્કેરાયો હોય કે અધર્મ જોડે યુદ્ધ કરવાના આદેશમાં ભદ્રંભદ્ર જોડે યુદ્ધ કરવા મંડી પડ્યો હોય, પણ એકદમ તે નીચે પડ્યા કે તેમના પર ચડી બેસી તે મુક્કા પર મુક્કા લગાવવા લાગ્યો. ભદ્રંભદ્ર બૂમો પાડવા લાગ્યા. હું બારણું ઉઘાડું છું કે બંધ તે તપાસવા લાગ્યો. બેત્રણ જણ અમારો સામાન તપાસવા લાગ્યા, પણ યુદ્ધના નિ:સ્વાર્થ આવેશમાં હું દૂરથી જ કાંપવા લાગ્યો. કોઈ ‘મારો’, કોઈ ‘જવા દો, લ્યા જવા દો’ એમ બૂમો પાડવા લાગ્યા.
કેટલાક ઉતારુ વચમાં પડ્યા. તેથી પેલો રજપૂત ખસી ગયો. ‘એ બામણો મને કુણ ગાળો ભાંડનાર ! એ લાંબુલાંબુ બોલ્યો તે તો હું ના હમજ્યો, પણ મારા ભણી આંગળી કરી હો માણહ દેખતાં મને મૂરખ ને ગધેડો કહે સે તે જીવતો ના મેલું’ એમ બોલતાં ઘડીઘડી તે અમારી તરફ વળતો હતો, પણ બીજા લોકો તેને સમજાવવા ગાડીના બીજા ભાગમાં લઈ ગયા. ભદ્રંભદ્ર વાયુદેવને યુદ્ધમાં ઊતરવાનું કહેણ મોકલતા હોય તેમ મુખ અને નાસિકા દ્વારા ધમણ માફક પ્રાણવાયુની પરંપરા કાઢવા લાગ્યા. મેં ભાષણ અગાડી ચલાવવા કહ્યું ત્યારે કહ્યું કે, ‘આવતે અગ્નિરથસ્થાપન સ્થલે બીજી ગાડીમાં જઈ ત્યાં બોધ કરીશું. એના એ જ માણસોને વકૃત્વશક્તિનો બધો લાભ આપી દેવો એ બીજા પર અન્યાય કહેવાય.’
ભદ્રંભદ્રના નિષ્પક્ષપાતી સ્વભાવ પર મને સાનંદાશ્ચર્ય પ્રેમ ઉત્પન્ન થયો. જાણે કંઈ બન્યું જ ન હોય તેમ ભદ્રંભદ્ર રામશંકર અને શિવશંકર જોડે વાતો કરવા મંડી ગયા. શી મોટા માણસની ઉદારતા !
@રમણભાઈ નીલકંઠની ભદ્રંભદ્ર માંથી સાભાર