આપણે જીંદગી જીવીએ છીએ, સપનું નહીં. માટે અવરોધો તો આવવાના જ. એને પાર કરીને જ આગળ વધવાનું છે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે કોઈ પણ કામ કરતા પહેલા એ વિચારીએ છીએ કે લોકો શું વિચારશે. આ જ આપણો સૌથી પહેલો અવરોધ. વિચારવા દો જેણે જે વિચારવું હોય તે. તમે ગમે તેટલું સારું કરશો તો પણ દરેક જણ એને પોતાની રીતે જ જોશે. બીજાનું વિચારવા જઈશું તો ક્યારેય કામની શરૂઆત જ નહીં થાય, આપણે જ સૌથી પહેલો અવરોધ સાબિત થઈશું.
આપણે કામ કરવા જવા નીકળ્યા હોઈએ અને ધોધમાર વરસાદ પડે તો શું ઘરે બેસી જઈએ છીએ? ના. છત્રી કે રેઇનકોટ કે પછી અન્ય કોઈ વ્યવસ્થા કરી લઈએ છીએ પણ કામ કરવા તો જઈએ જ છીએ. આપણે આ વરસાદને અવરોધ ગણતા નથી. તો પછી બીજા બધા અવરોધો માટે પણ કોઈ રસ્તો શોધી શકાય.
અવરોધો એ મુસીબત નથી, પણ આપણાં મગજની સક્રિયતા જાણવાનો માપદંડ છે. તમે કેવી રીતે એ અવરોધ દૂર કરો છો એ તમારી સકારાત્મક દ્રષ્ટિ બતાવે છે.
#અવરોધ