તેણે કાન મરોડ્યો,
ને જીવનભરની ચાવી ભરી...
==================================
બાળપણમાં સરકારી ગુજરાતી પ્રાથમિક શાળામાં ભણવા જતાં ત્યારનાં કેટલાક સંસ્મરણો હોઠો પરનાં મંદ મલકાટ સાથે હ્રદયમાં પણ એક મીઠી લહેરખી પ્રસરાવી જાય છે. શાકભાજીની લાંબી ચોરસ કાપડની થેલીમાં કે બગલથેલામાં પથ્થરની સ્લેટ સાથે ભરાય એટલા બધા જ પુસ્તકો - ને એકાદ નોટ સાથે અન્ય "રાચરચીલું" પણ ખરું - ને બસ ખભે ભેરવીને જતાં નિશાળીયાઓનો એક જમાવડો હતો. સવારે દસ વાગ્યાથી સાડા દસ કે પોણા અગિયાર સુધીનાં સમયમાં શિક્ષક, શિષ્ય અને શિક્ષણનો ત્રિવેણી સંગમ સર્જાતો.પરંતુ એમાં કામધંધે ગયેલા પિતાની ગેરહાજરીનો લાભ લેતાં કેટલાક "રખડું" વિદ્યાર્થીઓનો વારો પડી જતો હતો. ભણવામાં રુચિ ન ધરાવતા આવા બાળકોની માતા પોતાના ઘરનાં ચૂલે રસોઈ બનાવતાં બનાવતાં એનાં રખડુંને શોધી તેનો કાન મરોડી વળી ચૂલામાંનુ કરસાંઠુ લઈને તેને બરાબર ઝૂડતી ઝૂડતી છેક તેનાં વર્ગ અને પછી તેના માસ્તર સુધી હાથોહાથ સોંપી આવતી ને ઉપરથી તેના શિક્ષકને પણ કહેતી કે- "આને બરાબ્બર મારજો સાયેબ ..., આખો દન રખડવામાંથી જ ઊંચો નહીં આવતો...,..., મારો રોયો રખડેલ...! ઘેર ય ભણવાનું તો રજ્જે નોમ જ નહીં લેતો..."
ને રોટલા ટીપતી તેના બાળકને મૂકવા આવેલી માતાનો લોટથી ખરડાયેલા હાથનો જોરદાર ધબ્બો પડી જતો ને એ સાથે વર્ગમાં પણ સોંપો પડી જતો.
પોતાની ગરીબ પરિસ્થિતિનો વિચાર કરીને પોતાનાં બાળકના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરનારી આવી કંઈ કેટલીયે માતાઓએ પોતાનાં "રખડેલ" ને ઉચ્ચ પદ પર બીરાજમાન કર્યા છે. જેઓ ભણતરનાં પાટે ચઢી ગયા તેઓએ પોતાની કારકિર્દીનું શ્રેષ્ઠ ચણતર કર્યું, અને પોતાના જીવનને સુખી સંપન્ન બનાવ્યું.
આવી અનેક માતાઓએ તેમના લાડકવાયાનાં કાન મરોડયા ન હોત કે પેલા લોટ વાળા હાથનો ધબ્બો ન પડ્યો હોત તો...!?
###
🙏જય માતાજી🙏
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.
૮૩૪૭૯૮૯૯૩૦