ઈચ્છાનુવર્તી આચરણની તો ઘણી જ મનસા હોય છે બધાને, પણ દરેક માટે એ શકય નથી. ગમા અણગમા સાથે એ પરિસ્થિતિ હોય એ જ પ્રમાણે રહેવું પડે છે. નક્કી કર્યું હોય આજે બહાર જવું છે, બધી તૈયારીઓ થઈ ગઈ હોય અને અચાનક જ મહેમાન આવી ચડે. એમને તો ન કહેવાય કે અમે બહાર જઈએ છીએ તો તમે જતા રહો!
પરીક્ષામાં ધાર્યા હોય 80 ટકા અને આવે 65! એટલે કંઈ નાપાસ થયા એમ તો ન જ કહેવાય પણ ઈચ્છાનુંવર્તી ન થવા મળે અને ગમતી જગ્યાએ એડમિશન ન મળે. પણ ક્યાંક તો મળે જ. ગીતામાં કહ્યું છે ને કે ભાગ્યથી વધુ કે ઓછું ક્યારેય કોઈને મળતું નથી.
જે કર્મ કરે છે એણે ધર્મ સમજવાની જરૂર નથી. માટે બની શકે કે આપણને એવું લાગે કે ઈચ્છાનુવર્તી પરિણામ નથી આવ્યું પણ આપણાં કર્મોને આધીન આ જ આવવું જોઈતું હતું.
જો ઈચ્છાનુવર્તી કરી શકાય એવું કાર્ય કરવા ન મળે તો મળેલ કાર્યને જ પસંદ બનાવી લો, શકય છે કે એનું પરિણામ ઈચ્છાથી પણ કંઈક વધારે સારુ હોય.
#ઈચ્છાનુવર્તી