શું ખોટું છે અને શું સાચું છે એ નક્કી કરવું આજના જમાનામાં એક કસોટી સમાન છે. ખોટું ચલાવી લેવાની આદત જ વ્યક્તિને બગાડે છે. ખોટું કામ એક વાર નજરઅંદાજ કરવામાં આવ્યું હોય તો એ કામ કરનાર વ્યક્તિ વધુ ખોટું કરવાની હિંમત કરશે. એને ખબર જ છે કે કોઈ કંઈ કરવાનું નથી.
આપણી આસપાસ આપણે ઘણાં બધાં ખોટાં કામો થતાં જોઈએ છીએ પણ ક્યારેક પરિસ્થિતિવશ તો ક્યારેક લાગણીવશ આપણે એને જતું કરીએ છીએ. જો કોઈ વિરોધ કરવાવાળું હોય તો એને સાથ આપવા માટે ભાગ્યે જ કોઈ તૈયાર થશે. કારણ કે કોઈને કોઈના કામમાં માથું મારવાની કે મદદ કરવાની હવે આદત જ નથી.
એક બાળકને નાનપણથી જ જો સાચું શું છે અને ખોટું શું છે તેનું ભાન રાખવાની આદત પડી હોય તો મોટા થયા પછી પણ એ આ બાબતનું હંમેશા ધ્યાન રાખશે. પોતાને નુકસાન થાય એવું કોઈ ખોટું કામ એ નહીં કરશે.
એક નાનકડી શરૂઆત જ આદતમાં પરિણમે છે. કોઈ ખોટું કામ કર્યું હોય અને એમાં જો પ્રથમ પ્રયાસે જ સફળતા મળી હોય તો વ્યક્તિ ચોક્કસપણે આ કામ બીજી વાર કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ જો પહેલો જ પ્રયાસ નિષ્ફળ ગયો હશે ને તો બીજી વાર એ વિચાર કરશે કે આ કામ કરું કે ન કરું!
વ્યક્તિનાં કોઈ પણ કામમાં પ્રોત્સાહન એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો ખોટા કામને પ્રોત્સાહન જ ન મળે તો એ આગળ વધી જ ન શકે.
આ દુનિયામાં સાચું બોલવાવાળો રહી જાય અને ખોટું બોલવા કે કરવાવાળો આગળ નીકળી જાય એનું મુખ્ય કારણ એ જ છે કે સાચા વ્યક્તિ પાસે પોતે સાચો છે એવું સાબિત કરવા માટે ન તો શબ્દો હોય છે કે ન તો સાક્ષી.
કોઈને ખોટા કે સાચા માનવા પહેલા જો પૂરી તપાસ કરવામાં આવે તો સાચા સાથે ક્યારેય અન્યાય નહીં થાય અને ખોટું થતું અટકાવી શકાય.
#ખોટું