🌸 સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની પ્રસાદી 🙏
👉 " એક સભ્યતા હોય છે અને એક સંસ્કૃતિ હોય છે. બંને એક નથી. સભ્યતા પશ્ચિમની સારી અને સંસ્કૃતિ પૂર્વની (ભારતની) સારી. સંસ્કૃતિ જીવનમૂલ્યો નક્કી કરે છે, જ્યારે સભ્યતા જીવનવ્યવસ્થા નક્કી કરે છે.
સભ્યતાનાં થોડાંક લક્ષણો જોઈએ.
1) કોઈને ત્યાં જવું હોય તો રજા માગીને, સમય લઇને જ જવાય. ગમે ત્યારે ગમે તેમ કોઈના ઘરે જવાય નહિ. કોઈ જાય તો અસભ્ય કહેવાય.
2) કોઈના ઘરે જાઓ તો દરવાજા આગળ ઊભા રહીને બેલ વગાડીને અંદરથી આવકાર મળે તો જ બારણું ખોલીને અંદર જવાય. બેલ વગાડ્યા વિના મન ફાવે તેમ દરવાજો ખોલીને અંદર પેસી ન જવાય. આવું કરનાર અસભ્ય ગણાય.
3) આવકાર આપ્યા પછી ઘરમાં જઇને ગમે તે આસને બેસી ન જવાય. પેલા બતાવે તે આસને અથવા પૂછીને કે ' હું અહીં બેસું? ' અને પેલો હા પાડે પછી જ બેસાય. પૂછ્યા વિના પોતાને ગમતા આસને બેસી જવું તે અસભ્યતા કહેવાય.
4) બેઠા પછી આજુબાજુ પડેલી વસ્તુઓને અડાય નહિ, લેવાય નહિ. લેવી હોય તો પૂછીને જ રજા મળે તો જ લેવાય અને લઇને ઉપયોગ કરીને પાછી મૂકી દેવાય. આવું ન કરનાર અસભ્ય કહેવાય.
5) માગેલા અને મળેલા સમય કરતાં વધુ સમય માટે બેસી રહેવું તે અસભ્યતા કહેવાય. તરત જ આભાર - પ્રણામ કરીને ચાલતા થવું જોઈએ. કોઈના અંગત જીવનમાં રસ ન લેવાય. ખાનગી જીવનના પ્રશ્નો ન પુછાય. આ અસભ્યતા કહેવાય. અંગત જીવનમાં રસ લેવો, અંગત જીવનના પ્રશ્નો પૂછવા એ બધું અસભ્યતા કહેવાય, તે એટલે સુધી કે ' તમારી ઉંમર કેટલી ? તમારો પગાર કેટલો ? ' વગેરે પ્રશ્નો ન પુછાય. ' તમે પરણેલા છો કે કુંવારા ' - આવા પ્રશ્નો પણ ન પુછાય.
એટલા માટે તો પેલા લોકો નામની આગળ મિ.., મિસિસ કે મિસ લગાડતા હોય છે, જેથી પરિચય મળી જાય.
અંગત જીવનમાં રસ લેનારા પછી તેમાં માથું મારવા લાગે છે, પછી અળખા થાય છે અને સંબંધ બગડે કે તૂટે છે. એટલે અંગત જીવનમાં રસ જ ન લેવો એ સભ્યતા છે. રસ લેવો તે અસભ્યતા છે.
6) કોઈની પ્રેમક્રિયા, રોમાંસક્રિયા કે કામક્રિયાને જોવાય નહિ. જે કાંઈ રાજીખુશીથી થતું હોય તેને થવા દેવું જોઈએ. આ સભ્યતા છે. તેમાં રસ લેવો, તાકીતાકીને જોવું, છુપાઇને જોવું,કૅમેરા ગોઠવવા વગેરે અસભ્યતા કહેવાય.
7) પોતાનાથી વડીલ હોય, સીનિયર હોય, તેમને ઊભા થઈને માન આપવું, ટોપી ઉતારીને માન આપવું તે સભ્યતા છે, પણ આવા વડીલો કે મહાપુરુષો પોતાને ઘેર આવે ત્યારે ઊભા ન થવું, માન ન આપવું તે અસભ્યતા કહેવાય. કદાચ આવનાર પ્રત્યે આદર-માન ન હોય તો બાજુના રૂમમાં ચાલ્યા જવું, પણ બેસી તો ન જ રહેવું.
8) વડીલો અને પૂજ્યજનો માટે આદરભરી ભાષાનો પ્રયોગ કરવો તે સભ્યતા છે. અનાદર, તુચ્છકાર કે તોછડાઈથી વાત કરવી તે અસભ્યતા કહેવાય. "
- સ્વામિ સચ્ચિદાનંદજી.
( પૌરાણિક કથાઓ- 2010 )