અન્યોની ઓળખાણથી તો માત્ર સંબંધ નક્કી કરી શકાય. આપણો પરિચય તો ત્યારે જ કરી શકાય જ્યારે એ આપણાં પોતાના કામથી ઉભો થયો હોય. નાના હોઇએ ત્યારે તો પરિચય ઘણાં બધા સંબંધો પરથી જ આપવો પડે છે પણ મોટા થયા પછી આપણું કામ જ વગર કહ્યે આપણો પરિચય આપવું જોઈએ.
અમિતાભ બચ્ચન, શ્રી નરેન્દ્ર મોદીજી, સ્વામી વિવેકાનંદજી, શ્રીનિવાસ રામાનુજન, રવીન્દ્ર ટાગોરજી અને આવા કંઇ કેટલાયે મહાનુભાવો આજે એમના કામથી ઓળખાય છે. એમનો પરિચય એમની કામ કરવાની ધગશને કારણે છે, એમની આગળ વધવાની ઈચ્છાને કારણે છે. જો આ બધા પણ જે મળ્યું એટલામાં સંતોષ માનીને બેસી રહ્યાં હોત તો કદાચ કોઈ એમને ઓળખતું જ ન હોત.
જરુરી નથી કે આખી દુનિયામાં પ્રસિધ્ધ થવું એ જ પરિચય ઉભો કરવો છે. પોતાના ક્ષેત્રમાં નામના કમાવી એ પણ એટલું જ મહત્વનું છે. પોતાના પરિચય માટે એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે આપણાં બાળક માટે કોઈ બીજાનું ઉદાહરણ આપવા પહેલા આપણો પોતાનો જ પરિચય આપી શકીએ.
પરિચય એ માત્ર શબ્દ નથી, આપણું આખું વ્યક્તિત્વ એનાં પર છે. માટે પરિચય આપતી અને લેતી બન્ને વખતે સચેત રહેવું જરુરી છે.
#પરિચય