હું સાહિત્ય જગતની વ્યક્તિ નથી એટલે ગઝલ, કાવ્ય, શાયરી આવુ બધુ લખવું મારે માટે શકય નથી. તો થોડી વાતો જ કરી લઈએ. 'દિલ' - શબ્દ જ એવો છે, કેટલીયે ફિલ્મો, કાવ્યો, ગઝલો, શાયરીઓ એનાં પર લખાઈ ચૂકી છે. પ્રણયકથાઓ, વાર્તાઓ પણ લખાઈ ચૂકી છે.
કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. પણ મન ક્યારે લાગે? જ્યારે ગમતું કામ કરીએ ત્યારે અથવા કામ ગમવા લાગે ત્યારે. જ્યારે દિલ દઈને કામ કરીએ ને ત્યારે એની સફળતાનાં માપદંડો આપણાં હકમાં આવી જતા હોય છે.
બધાં જ કામ મન કે મગજથી થતા નથી, કેટલાંક કામો માટે દિલને પણ પૂછવું પડે છે. એક શિક્ષિકા તરીકે જો હું મારા વર્ગમાં માત્ર મારુ મગજ જ વાપર્યા કરુંને તો એવું બને કે બાળકો કશું સમજી જ ન શકે અને કંટાળો પણ અનુભવવા લાગે. પણ જો હું થોડું દિલથી કામ લઇ પહેલા એમને ભણવા તરફ આકર્ષિત કરીને પછી મારુ કામ શરૂ કરું તો શકય છે કે બાળકો વધુ ઝડપથી સમજી શકે.
ઓફિસમાંથી આપેલું કામ જો માત્ર વેતન મેળવવા માટે જ થતુ હોય તો એમાં વ્યક્તિ આગળ વધી શકતી નથી કારણકે નવું શીખવાની એમને ધગશ જ નથી હોતી, પરંતું જો થોડુ દિલ દઈને કામ કરીએ ને ત્યારે આપણે કંઈક નવું શીખવાની ઇચ્છા આપોઆપ થાય છે. અને આ સ્થિતી અચૂક પ્રગતિને પંથે લઈ જાય છે. સાથે કંઈ નવું શીખવા મળે એ અલગ.
વ્યક્તિનું મન, દિલ અને નિષ્ઠા ત્રણેય જ્યારે ભેગા થઈને કામ કરે ને ત્યારે શ્રેષ્ઠ પરિણામ બહાર આવે છે.
#દિલ