ચૈત્રી નવરાત્રિ કથા સત્સંગ (મોરારીબાપુ)
*આપણામાં પ્રસન્નતા આવવા સામેની બાધા છે - તક્ષાથી વધારે અપેક્ષા.આપણી અપેક્ષાઓ- આપણી કામનાઓ- આપણી પવિત્રતાને ટકવા દેતી નથી! "*
પૂજ્ય બાપુએ એ આ સંદર્ભમાં એક નાનકડી બોધ કથા કહી.
એક ગામમાં બે ભાઈ રહેતા હતા. નાનો ભાઈ કશું વિશેષ કામ કરતો ન હતો. પરંતુ પૂરો પ્રમાણિક અને સંતોષી હતો. જ્યારે મોટો ભાઈ ધનપ્રાપ્તિ માટે સતત ઉદ્યમ કરતો રહેતો. તેના પુરુષાર્થથી તેને ઘણું ધન પણ પ્રાપ્ત થયું હતું. પરંતુ વિશેષ ધનપ્રાપ્તિની તેની અપેક્ષાઓ મટતી નહીં. અને તે પોતાના ગરીબ છતાં સંતોષી અને પ્રમાણિક નાનાભાઈને મેણાં માર્યા કરતો કે - 'તે પ્રમાદી છે, કાંઈ કરતો નથી.'
દેવયોગે નાના ભાઈને એક ઘંટી મળી. અને દેવવાણીએ એને કહ્યું કે -
'આ ઘંટીને તું દળીશ એટલે તારે જે જોઈએ તે તને તેમાંથી મળ્યા જ કરશે. પરંતુ જેટલી જરૂર હોય એટલી જ વાર તું ઘંટી ચલાવજે. નહીંતર ઘંટી તને એટલું વધારે આપશે, કે જે તું સંભાળી રહી શકે, ભોગવી નહીં શકે.
નાનો ભાઈ આ રીતે જરૂર પૂરતી ઘંટી દળી લઇને પોતાની જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત કરી લેતો. એમ કરતાં એની પ્રમાણિકતા, પવિત્રતા અને પ્રસન્નતા વધતી ગઈ. મોટાભાઈથી આ જોયું ન ગયું. એને થયું કે 'આ પ્રમાદી માણસ કશું કર્યા વિના આટલો પ્રસન્ન શું કામ રહી શકે છે?'
એણે તો ગમે તેમ કરીને ઘંટીનું રહસ્ય જાણી લીધું. અને કોઈપણ રીતે નાનાભાઈ પાસેથી ઘંટી પડાવી પણ લીધી. પછી તો મોટો ભાઈ ઘંટીચોરી અને જહાજમાં બેસીને દૂર સમુદ્રમાં જતો રહ્યો. જેથી કોઈ તેને પકડી ન શકે. સમુદ્રની વચ્ચે જહાજ લઇ જઇને, એણે તો જે જોઈએ તે ઘંટી પાસેથી માગવાનું શરૂ કર્યું. પહેલા તો મીઠાઈ માગી. મીઠાઈથી પેટ ભરાઈ ગયું, એટલે તેણે નમકીન વસ્તુઓ માંગી. એ પણ ધરાઈને ખાધા પછી એણે કોગળા કરવા માટે નમક - મીઠું- માગ્યું.
ઘંટીમાંથી મીઠું નીકળ્યાં જ કર્યું, અને જહાજ એના ભારથી દરિયામાં ડૂબી ગયું. કહે છે કે દરિયાનું પાણી એ પહેલાં મીઠું હતું. પરંતુ આ ઘટના બાદ સમુદ્રનું પાણી ખારું બન્યું."
આ બોધ-કથાના આધારે પૂજ્ય બાપુએ કહ્યું કે અતિશય કામના આપણાં જીવન સમુદ્રને ખારો કરી નાખે છે. જ્ઞાનની, વિજ્ઞાનની કે કોઈ પણ વસ્તુની અતિશય તૃષ્ણા જીવનનાં મીઠાં જળને ક્ષારયુક્ત કરી મુકશે!
આપણે પવિત્રતાનું નિર્માણ નથી કરી શકતા, એટલા માટે કેટલીક વસ્તુઓનું નિર્વાણ જરૂરી છે.
મહાભારતનો એક સંદર્ભ ટાંકીને પૂજ્ય બાપુએ કહ્યું કે-
" એકવાર ભગવાન વેદવ્યાસ દ્રૌપદીને મળવા પાંચાલ જાય છે, ત્યારે દ્રોપદી તેમને એક પ્રશ્ન પૂછે છે-' આટલા વિશાળ જ્ઞાનને અર્જીત કરવા માટે શું આટલી નાની જિંદગી પર્યાપ્ત છે? જ્ઞાન તો અસીમ છે અને જીવન સીમિત છે!!'
ભગવાન વેદ વ્યાસ વિનોદ માં છતાં માર્મિક રીતે કહે છે કે -
'તારું એક નામ કૃષ્ણા છે, એને બદલે તૃષ્ણા હોવું જોઈએ. જ્ઞાન, વિજ્ઞાન કે કોઇપણ વસ્તુની વધારે પડતી તૃષ્ણા યોગ્ય નથી.'
- અમર્યાદ કામનાઓ આપણાં જ્ઞેય, પેય કે સેવ્યને રહેવા નહીં દે."
વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં પૂજ્ય બાપુએ કહ્યું કે -
"આ આપણું ૨૧ દિવસનું તપસ્યા પર્વ છે. આજના દેશકાળ પ્રમાણે આપણું તપ સાત્વિક હોય. આવા વૈષ્ણવી તપથી આપણે પવિત્રતાનું નિર્વહન કરીએ, પાલન કરીએ. અને પછી આપણી પ્રસન્નતા રૂપી ઉપલબ્ધીને કામનાઓ તોડી ન નાખે, એટલે કરૂણામય શિવનાં શૈવ-તપથી કામનાઓનું નિર્વાણ કરીએ.
આવો, આપણે સહુ આ ચૈત્રી નવરાત્રિના પાવન દિવસોમાં વિશ્વ આરોગ્યનાં યજ્ઞમાં આપણી આહુતી આપીએ.
જય સિયારામ. 🙏
સંકલન : મનોજ જોશી