સમય જતો રહ્યો.. પણ ઘા છોડતો ગયો😊(આ વાત મે કોઈપણ જાતની સિમ્પથી મેળવવા નથી શેર કરી..તો દીલાસો ન આપશો🙏મજબુત છું, હતી અને રહીશ)
એ રાતે તેમની તેમના પરિવાર સાથે વાત થઈ. તેઓ "ઓમકારેશ્રવર" મહાદેવના સાંનિધ્યમાં મિત્રો સાથે ગયા હતા. સંધ્યાકાળે દર્શન કર્યા અને એક અલૌકિક માહોલનો તેમધે અનુભવ થયો. તેમને એમ હતું કે જાણે પ્રભુ હાજરાહજૂર દર્શન આપી ગયા. રાત્રે નવેક વાગ્યાની આસપાસ લેન્ડલાઈનની રીંગ વાગી અને કોલ દીકરીએ એટલે કે મેં રિસીવ કર્યો, "પપા, દર્શન કેવા થયા? મારા માટે શું લીધુ? પ્રશ્નોનો મેં મારો ચલાવ્યો. ભાઈએ પણ પ્રશ્નોનો મારો ચલાવી લીધો. બાળ ઉંમરે બીજું હોય પણ શુ? પપા બોલ્યા," દર્શન સરસ થયા દીકરી... વસ્તુઓ હું કાલે લેવા જઈશ હો, તમારા બંને માટે! અમે રાજી થતા ફોન દાદીને આપી દીધો. મમી તો વ્યવહારિક કાર્ય માટે મામાને ત્યાં ગયેલ હતા.
આજ સવારથી જ વાતાવરણમાં એક નગમતી ઉદાસી ઘેરાયેલ હતી. મને એમ કે કદાચ મારી તબિયત સરખી નથી. બપોરના બાર થતા સુધીમાં ઘણા લોકો પુછી ગયા.. "એસ. ડી. ક્યા?" જવાબ આપીને લગભગ અમે થાકી ગયા કે તેઓ ફરવા ગયા છે એમ! મને મમીને કોલ કરીને બોલાવવાનું કાર્ય સોંપવામાં આવ્યું.. જે મને થોડું અજીબ લાગ્યું અને મે ખાસી રકઝક પણ કરી.. પણ આખરે મમીને મેં બોલાવી જ લીધા!
ભાઈ દશમા ધોરણમાં અને હું બારમું ધોરણ પાસ કરી રહી હતી હજુ! કોલેજ માટે રાજકોટ હતી... પણ વેકેશનમાં ગામ આવી હતી. સમય બાજી રમી રહ્યો હતો. સાંજ સુધીમાં મમી પણ મામાને ત્યાંથી આવી ગયા હતા અને પપાને મજા ન હતી.. તેથી તેઓ મુસાફરી ટુંકાવીને આવી રહ્યા છે.. એ વાતની જાણ મેં મમીને કરી. મમી થોડો સમય અસ્વસ્થ રહ્યા.. પણ પછી કહે, "સારું, ઘરે આવે છે ને.. હું સેવા કરીશ એટલે સાજા થઈ જશે."
ઘર પાસે કવાલિસ ઉભી અને તેમાંથી પપા આવશે.. એ તૈયારી સાથે હું દોડી... પપા તો આવ્યા પણ.. પણ.. નિર્જીવ અવસ્થામાં! હાં, એમનો પાર્થિવ દેહ અમારી સમક્ષ હતો.. તેમને ઓમકારેશ્રવર મહાદેવના સાંનિધ્યમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો.. આ વાત અમારાથી છુપી રાખવામાં આવી હતી. અમે શું કરવું એ જ ન સમજી શક્યાં. આવું થોડું થઈ શકે? પપા નથી એ વાત માનવા દિલ તૈયાર જ ન હતું. પુરા ગામને ખબર હતી.. અમારા પાંચ સિવાય. સવારથી સગા વ્હાલા ભેગા થય ગયા હતા.. પણ ગામમાં ચોકી પહેરો ગોઠવાઈ ગયો હતો.. કોઈને ઘરે નહીં આવવા દેવા માટે! આંસુના બંધ તુટયા.. કોણ કોને સંભાળે? ખૂબ રડીને મેં જાતને મજબૂત કરી અને મમીને, ભાઈને, દાદીને શાંત પાડવા મથી. દાદી મજબૂત બન્યા.
સમય પસાર થતો ગયો તેમ લોકોની સામે આંસુને છુપાવતા પણ આવડી ગયું અને હાસ્ય પહેરતા આવડી ગયું. મમી અત્યારે મજબૂત ઢાલ બનીને ઊભા છે.. ભાઈએ મારા બધા પ્રસંગોને પિતાની જેમ જ પાર પાડયા છે. જરૂર પડ્યે હું ઘણી વખત મમી માટે રૂઢિચુસ્ત સમાજ સામે બોલી પણ છું! એક વાત કહીશ કે, હું અભિમાની નથી.. નથી.. અને નથી જ! હાં.. એક સ્વાભિમાની પિતાની પુત્રી છું, જેણે અમને મજબૂત બનીને ચાલવાનું જ શીખવ્યું છે, ભલે સંજોગો ગમે તેટલા કઠિન કેમ ન હોય!
- નિપા જોશી શીલુ