*જ્યોતિરાદિત્યને કમળ ગમે છે, (કમલ)નાથ નહીં.*
જ્યોતિરાદિત્ય સિંધિયાએ છેવટે કોંગ્રેસ છોડી ને ભાજપમાં પ્રવેશ કર્યો. આશા રાખીએ કે ભાઈ હવે માનભેર લોકોની સેવા કરી શકશે. દેશની જે તનતોડ સેવા વડાપ્રધાન મોદી ને એમના ભેરુ શાહ કરી રહ્યા છે, હવે એમાં એક સેવાભાવી સજ્જન ઉમેરાશે, બીજું શું?
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પડું પડું થઈ રહી છે. હવે રોજે રોજ નવા સમીકરણો મંડાશે. ભાજપથી કંટાળીને લોકોએ કોંગ્રેસને સત્તા આપી, પણ સત્તાના લાલચુઓ એને સંભાળી નથી શકતા. વિજય મેળવ્યા કરતા વધુ કઠિન કામ એ વિજયને જાળવવાનું છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ લોકોને નિરાશ કરી રહી છે. લોકો પાસે રાષ્ટ્રિય લેવલ પર બે જ વિકલ્પો હોય, એમાં એક નબળી ને અશક્ત કોંગ્રેસ જાતભવડાનો ભોગ બને, ત્યારે લોકશાહીને હાનિ પહોંચે છે. મજબૂત વિરોધપક્ષ હોવો જ જોઈએ, તો સરકાર જરાક દાબમાં રહે,.માપમાં રહે. કોંગ્રેસ વિરોધપક્ષ તરીકે તો બિનઅસરકારક રહી જ છે, સરકાર ચલાવવામાં ય અસમર્થ સાબિત થઈ રહી છે. કોંગ્રેસ બીમાર પડે, મરણતોલ બની જાય, તો મને લાગે છે કે એમાં કોંગ્રેસ કરતા ય દેશને ઝાઝું નુકશાન છે.
આ આખી ઘટનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ એ જ કર્યું કે જે આજના રાજકારણમાં ચાલી રહ્યું છે. એ આજના નિમ્ન રાજકારણની પેદાશ છે, એટલે એમના વર્તન બાબતે તો શી કાગારોળ કરવી? એ માણસ યુવા છે, શિક્ષિત છે. આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. એનામાં કશુંક હીર હતું, એટલે તો એ વ્યક્તિ કોંગ્રેસમાં હતો, મંત્રી રહી ચૂક્યો છે. હવે એ ભાજપમાં ભળ્યો, એટલે એકાએક એને બિનકાર્યદક્ષ ઘોષિત કરી દેવાનો કોઈ અર્થ નથી. આ જ વ્યક્તિને કેન્દ્રીય લેવલ પર મંત્રીપદુ ધરનાર કોંગ્રેસ હવે એવું કહે કે - જ્યોતિરાદિત્ય ગયા, તો ભલે ગયા. કોંગ્રેસમાં એમના કરતા ય વધુ પ્રતિભાશાળી કાર્યકર્તાઓ છે જ. એમને હાંસિયામાં ધકેલીને અમે જ્યોતિરાદિત્યને મંત્રી બનાવ્યા, તો આ નિવેદનમાં તો કોંગ્રેસ પોતે જ ફસાઈ જાય એમ છે. જો કોંગ્રેસની વાતમાં દમ છે, તો પ્રતિભાશાળી કાર્યકર્તાઓને પડતા મૂકીને જ્યોતિરાદિત્યને મંત્રી તરીકે પસંદ કરનાર કોંગ્રેસ ખરે જ ભૂંસાઈ જવી જોઈએ. ને જો એમ નથી, તો આખું રોકક્કળ જોઈને પેલી ખાટી દ્રાક્ષ વાળા શિયાળની વાર્તા યાદ આવે.
છેલ્લે ભાજપીઓની ખુશી. તો આ ખુશી ધૂર્ત માણસની ખુશી છે. આમાં ક્યાંયે દેશહિત નથી. થોડા સમય પહેલાના કૌભાંડી કોંગ્રેસીઓને તમે ભાજપમાં સમાવી લો, એટલે એ પવિત્ર થઈ ગયા, એવો તમારો દાવો સાવ પોકળ છે, અર્થહીન છે. તમે કોંગ્રેસમુક્ત ભારત નહીં, પણ કોંગ્રેસયુક્ત ભાજપ સર્જી રહયા છો. તમે હવે સામસામે નહીં, પણ મળીને 18 - 18 કલાક કામ કરશો. તમારી આ આકરી મહેનત દેશને મોંઘી પડવાની છે, એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેને ન દેખાતું હોય, તેમને અંધાપો મુબારક.
વિરોધ પક્ષ કોઈ પણ હોય, એની વિકેટ આમ ખેરવાતી જાય, તો રાષ્ટ્રીય સ્તર પર 'મેં હી મેં હૂં, દૂસરા કોઈ નહીં - ની" તરજ પર ઝૂમનાર ભાજપ જ બચશે.
આ બધું જોતા સાફ દેખાય છે કે - સૌથી મોટો ખતરો લોકતંત્ર સામે ઉભો થઈ રહ્યો છે. દેશનું લોકતંત્ર બચાવીએ, એના વિશે વિચારીએ. લોકશાહીને બચાવવા માટે નાગરિક તરીકે જેટલું થઈ શકે, તે કરવું જ. દેશભક્તિનું એક લક્ષણ આ પણ છે જ.