આજકાલ સૌથી વધારે પ્રેરણાત્મક લેકચરોમાં બોલાતો અને ચર્ચાતો શબ્દ પણ કમનસીબે બહું જ ઓછો સમજાતો શબ્દ હોય તો તે છે “ સફળતા”.
આપણાં સમાજમાં સફળતાની વ્યાખ્યા જે રીતે વણી લેવાઇ છે તે ખરેખર દયાજનક છે.આપણે ત્યાં કોઈ વ્યક્તિ મોટી ડિગ્રી મેળવી લે,પૈસાવાળો બની જાય,નામનાં થઈ જાય એટલે તેનું નામ આપણો સમાજ સફળ વ્યક્તિઓની યાદીમાં ઉમેરી દે છે.પણ આપણે સફળતાની સાચી વ્યાખ્યા ક્યારેય પૂર્ણ રીતે અને સાચા અર્થમાં સમજવાનો આખાય જીવન દરમિયાન કોઈ પ્રયત્ન કરતાં નથી.
જેને કારણે આપણે બીજાને જોઈને તેનાં જેવો બનવાની અથવા તો કહેવાતી ભૌતિક સફળતાને જ સાચી સફળતા માની લઈએ છીએ અને તેવી કહેવાતી ખોખલી સફળતાને પામવા પોતાનાં જીવન મૂલ્યોને જાણતા અજાણતા નેવે મૂકતાં અચકાતાં નથી.કારણ કે આપણે કદાચ સમાજથી ડરીએ છે.વળી,મોટાભાગની વ્યક્તિઓ સમાજને બતાવવાં અથવા સમાજનાં ડરે જીવન અને સફળતાનો સાચો અર્થ સમજ્યા વિના અંધાધૂંધ ઘેટાંદોડમાં દોટ મૂકતાં દેખાય છે.જેને લીધે તેઓ તેમના અમૂલ્ય જીવનનો સૌથી મહત્વનો ભાગ જીવનનો આનંદ ઉઠાવવાને બદલે આવી ખોટી હરિફાઈઓમાં ઉતરી જઈ જીવન શક્તિનો નાશ કરતાં દેખાય છે.
સફળતા એટલે ફળ સાથેનું અને નિષ્ફળતા એટલે ફળ પ્રાપ્ત નાં થવું એટલે કે ઇચ્છિત પરિણામ પ્રાપ્ત નાં થવું.આપણે હમેશાં જ્યારે કઇ પણ પ્રાપ્ત કરવાનું નક્કી કરીએ છીએ ત્યારે પરિણામની અપેક્ષા લક્ષ્યમાં રાખીને તે દિશામાં પ્રયત્ન કરીએ છીએ જેનાં કારણે આપણું ધ્યાન ધ્યેયમાં રહેવાને બદલે તેનાં પરિણામ તરફ રહે છે.જેના પરિણામે તેની મોટાભાગની ઇચ્છાશક્તિ તેમાં ખર્ચાઈ જાય છે.એક લાઇફ કોચ તરીકે હું હમેશાં લોકોને કહું છું કે “ સાચી ઇચ્છાશક્તિ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે ધ્યેયમાંથી પરિણામની ઈચ્છાની બાદબાકી થાય છે “ અને આવી ઇચ્છાશક્તિ અદ્ભુત પરિણામો આપતી હોય છે.એટલે જ કદાચ ગીતામાં ભગવાન કૃષ્ણએ નિષ્કામ કર્મ કરવાની મનુષ્યને પ્રેરણા આપી છે.
સફળતા અને નિષ્ફળતા બંને ફક્ત સાચા દિલનાં પ્રયત્નો અને આત્મ-વિશ્વાસ નાં પરિણામો છે કારણે કે બંને માટે આપણે જ જવાબદાર છીએ નહીં કે ભગવાન,ગ્રહો કે અન્ય કોઈ વસ્તુ.જો આ દુનિયામાં આપણને કોઈ સફળ બનાવી શકે છે તો તે આપણે જ છીએ કારણ કે આપણી જિંદગીમાં આપણાથી વધું રસ કોને હોઈ શકે.
ઈશ્વરે આપણને કર્મ કરવાની સ્વતંત્રતા આપી છી તો શું કામ આપણો શ્રેષ્ઠ પ્રયત્ન નાં કરીએ ...? આવો....જીવીએ એવું કે ઈશ્વરને ગમીએ.
સફળ જીવીએ પણ સફળતા માટે નહીં......ખંતીલા બનીએ અને ખમીરથી જીવીએ.....
એક દોડમાં દોડીએ ...એકબીજા માટે દોડીએ પણ એકબીજા સામે દોડતાં અટકીએ......
- સૌમિલ જોષી ( સૌમ્ય દિલદારી લાઇફ કોચ,પ્રેરણાત્મક વક્તા અને સેલ્ફ હેલ્પ પાયોનીયર છે )