સુખી થવાનો એકમાત્ર રસ્તો, જીવનમાંથી દૂર કરો આ 6 વસ્તુના મહત્વને
માણસનું મન એવું છે કે જેને અનેક વસ્તુઓમાં મોહ હોય છે. જીવનમાં વ્યક્તિ જેટલું પામે તેનાથી વધારે પામવાની ઈચ્છા તેના મનમાં થવા લાગે છે. એક પછી એક વસ્તુઓને પામવા માણસ સતત દોડે છે. પરંતુ જીવનમાં ક્યારેય આ 6 વસ્તુઓનો મોહ રાખવો ન જોઈએ. આ ભૂલ કરનાર હંમેશા દુ:ખ વચ્ચે ઘેરાયેલો રહે છે. કારણ કે આ વસ્તુઓને ક્યારેય વ્યક્તિ પામી શકતો નથી.
રૂપ
રૂપ-રંગ આકર્ષક હોય તેવી ઈચ્છા કોની ન હોય ? દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેની યુવાની હંમેશા ટકી રહે. પરંતુ તે શક્ય નથી, પ્રકૃતિનો નિયમ છે કે યુવાની સાથ છોડી જ દે છે. તેથી તેનો મોહ ક્યારેય ન રાખવો.
ધન
ધનની ઈચ્છા પણ દરેક વ્યક્તિને હોય છે. ધન સાથે મોહ પણ જીવનને સંકટ તરફ દોરી જાય છે. લોકોના મનમાં ધનનો મોહ જાગી જાય તો તે ધનને તેની પાસે રાખવા અનેક જતન કરે છે. આ મોહ પણ નુકસાનકારક સાબીત થાય છે.
અપેક્ષા
માણસ જ્યાં સુધી તડકામાંથી ચાલતો હોય ત્યાં સુધી જ પડછાયો પણ સાથ આપે છે. અંધારામાં પડછાયો પણ સાથે નથી હોતો. એટલે કે બીજા પર ક્યારેય ભરોસો ન કરવો કે ન તો કોઈપણ પ્રકારની અપેક્ષા રાખવી.
અધિકાર
દરેક માણસે એ વાત યાદ રાખવી જોઈએ કે તે અન્યને પોતાના તાબામાં ન રાખી શકે. મોટા ભાગે લોકોની ઈચ્છા હોય છે કે તેમને મળેલી સત્તા કે લાભ હંમેશા તેના જ અધિકારમાં રહે. પરંતુ આ પણ શક્ય નથી.
જીવન
જન્મ સાથે જ વ્યક્તિનું મૃત્યુ પણ નક્કી જ થઈ જાય છે. માણસ જીવનમાં અનેક પ્રયત્નો કરે તેમ છતાં મોતને તો ટાળી ન જ શકે. તેથી માણસે જીવનનો પણ વધારે પડતો મોહ ન રાખવો જોઈએ.
મન
માણસનું મન ચંચળ હોય છે. જેમાં અગણિત ઈચ્છાઓ ઉત્પન થયા જ કરે છે. મન કોઈના વશમાં રહી શકતું નથી અને લોકો ઘણીવાર ન કરવાના કામ પણ કરી બેસે છે.