શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેના સુક્ષ્મ ભેદને જાણો
જ્યાં શ્રદ્ધાની વાત આવે ત્યાં ન તો કોઈ પ્રશ્નો પુછાય કે ન તો કોઈ પુરાવા માંગી શકાય. શ્રદ્ધા એટલે અલ્ટિમેટ. આ એક બહુ જ પ્રચલિત અને રૂઢ માન્યતા છે. તેની સામે કોઈ દલીલ ચાલે જ નહીં. પરંતુ અહીંયા એક પ્રશ્ન ઊભો થાય છે, કે જેને આપણે શ્રદ્ધા માની લીધી છે, તે ખરેખર શ્રદ્ધા જ છે કે ભ્રમણા તે નક્કી કેવી રીતે કરવું? આ પ્રશ્ન મોટાભાગના લોકોના મનમાં થતો હોય છે. તો આજે જાણી લો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેના તફાવત વિશે.
શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી, પણ સ્પષ્ટ ભેદરેખા તો છે જ. શ્રદ્ધાના અજવાળે સઘળું સ્પષ્ટ દેખી અને પ્રમાણી શકાય છે. જ્યારે અંધશ્રદ્ધા ખુદ અંધકાર છે. તે માણસ પાસેથી તેની રહી-સહી દૃષ્ટિ અને વિવેકબુદ્ધિને છીનવી લે છે અને તેથી જ ભ્રામક શ્રદ્ધાનું નામ અંધશ્રદ્ધા રાખવામાં આવ્યું હશે.
શ્રદ્ધા- સાચી શ્રદ્ધા કેવી રીતે પ્રગટે, તે એક પાયાનો પ્રશ્ન છે. તેના પછી દરેક પ્રશ્નનો જવાબ તમને આ પાયાના જવાબમાંથી મળી રહેશે. અને પાયાનો જવાબ એ છે, કે માણસને સૌથી પહેલા અને સૌથી પાકી શ્રદ્ધા તેના પોતાનામાં પ્રગટવી જોઈએ. પોતે જે જૂવે છે તે સ્પષ્ટ અને નક્કર સ્વરૂપે જુવે છે, પોતે જે બોલે છે તે સાચું અને સીધું સટ બોલે છે, પોતે જે કરે છે, તે એવી ખાતરી સાથે કરે છે, કે તે કરવાનું તે સામર્થ્ય ધરાવે છે. પોતે પોતાના સામર્થ્યને, અસમર્થ્ય તેમજ મર્યાદાને ખૂબ સારી રીતે ઓળખે છે. બસ આટલી પ્રાપ્તિ માણસને થાય ત્યારે શ્રદ્ધા પ્રગટી ગણાય, અને આ શ્રદ્ધા દેખીતી તેમજ જાગતી શ્રદ્ધા હોય છે, જે કદી આડેમાર્ગે દોરતી નથી અને ઠોકર ખવરાવતી નથી. શ્રદ્ધા જેમ જેમ વધતી જાય તેમ તેમ તે દ્રઢમૂળ બનતી જાય છે અને માણસને વધુ આત્મબળ આપતી જાય છે. જીવન, જગત અને ઈશ્વરમાં સાચી શ્રદ્ધા માણસની સાચી આત્મશ્રદ્ધામાંથી જ જન્મે છે.