આપણા દેશમાં ઘણા યુવાનો એવાં છે કે તેઓ આંદોલન તો કરી રહ્યા છે પણ તેમને એ જ ખબર નથી કે તેઓ શેના માટે આંદોલન કરી રહ્યા છે. તે બધાય શું દેશનું ઉકાળશે? માત્ર વિરોધ...વિરોધને વિરોધ જ.... જે યુવા પેઢી પોતાનું લક્ષ ભૂલીને અન્યના રાજકીય રોટલા પકવવા માટે બુદ્ધિ નેવે મૂકી દોરવાય રહ્યા છે... તેઓ માત્ર અન્યનાં હાથા જ બની રહ્યા છે. અન્યાય, અત્યાચારનો વિરોધ કરવો જરૂરી છે. અસત્ય બાબતોની સામે બળવો કરવો તે યુવાનના લોહી માં હોવું જોઈએ. સત્ય માટે લડો, હેતુ સ્પષ્ટ હોય તો જ લડાઈ લડવી જોઈએ. તમને એ પણ જાણ હોવી જોઈએ કે અમે શેના માટે લડી રહ્યા છીએ? દેશહિત સર્વોપરી હોવુ જોઈએ. જે દેશની પ્રજા પોતાના દેશનું સન્માન નથી જાળવતી અથવા તેના નિયમોનું પાલન નથી કરતી, તે દેશને અન્યના ઈશારા પર નાચવાનો વારો આવે છે. અથવા તેનો ગુલામ બને છે. આપણા દેશનો ઈતિહાસ સાક્ષી છે જ્યારે ઘરના જ મિર જાફર કે જયચંદો બને ત્યારે દેશ ગુલામ બને છે. પોતાના હક માટે લડો. તે પહેલા પોતાના હક્કોને જાણો. જેના માટે લડો છો તેના માટે સત્યતા સુધી પહોંચો. તમે ભારતના ભાવિ છો. ભટકતા નહીં, નહિતર દેશ ભટકી જશે.
-ઇતરકાકા