કામ ક્યારેક બગડી જાય છે સહનશીલતા વિના.
મોડેમોડે સત્ય સમજાય છે સહનશીલતા વિના.
મતભેદ તો તાસીર છે સમાજની વર્ષોજૂની રહી,
ખુદનાં સ્વજનો દૂર થાય છે સહનશીલતા વિના.
છે જરુરત કેળવવાની " નમવું" ને " ખમવું" સમો જોઈ,
આપ્તજનો પણ અકળાય છે સહનશીલતા વિના.
ધીરજ અનિવાર્ય ગુણ છે જે સૌએ રાખવો ઘટે,
મૌન તોડીને પછી પસ્તાય છે સહનશીલતા વિના.
નથી જરુરી કે દરેક વાત દરેકને કહી જ દેવાની,
ઉરની ઓષ્ઠે કદી બોલાય છે સહનશીલતા વિના.
ક્રોધ માનવીને ઘડીભરમાં ન કરવાનું કરાવી દેતો,
સંબંધોમાં પૂર્ણવિરામ મૂકાય છે સહનશીલતા વિના.
ચૈતન્ય જોષી." દીપક" પોરબંદર.