જ્યારે મારો શ્યામ મને મળશે ત્યારે વરસાદ આવશે! ભલે ગમે તે સિઝન હોય એક નાનકડું માવઠું તો આવશે જ...
શું અશક્ય છે એના માટે જો એ કરવા ધારે, પથ્થર જેવા થઈ ગયેલા આ દિલ પર જો એ ફૂલો ખીલવી શકે, મરવા પડેલી ઈચ્છાઓને ફરી સજીવન કરી શકે, રાહ જોઈને થાકેલી આંખોને નવા સપના જોતી કરી શકે, જ્યારે માની જ લીધું હોય કે આ દુનિયામાં પ્રેમ જેવું કશું છે જ નહીં, ક્યાંય કોરી લાગણીને કોઈ પ્રતિભાવ નથી આપતું, લાગણીઓ પણ હવે જ્યાં વ્યવહાર સાચવવા જ વપરાય છે એવી દુનિયામાં મનમારીને જીવતા શીખી લીધું અને છેક ત્યારે એ એવો જ, તમારા મનમાં ધારેલો એવો જ સાચુકલો માણસ લાવીને ખડો કરી શકે જેના દિલમાં પડેલી ભીની લાગણીઓ પણ ધીરે ધીરે સુકાઈ રહી હતી, મરી રહી હતી, એ શું ના કરી શકે...? જો એ કરવા ધારે તો કંઈ પણ કરી શકે...તર્કથી જ વિચારવા ટેવાયેલ હોય એવા એક મનને વિશ્વાસથી ભરેલા બીજા મન સાથે જોડી શકે, તર્ક અને વિશ્વાસ બન્ને લડ્યા વગર સાથે રહી શકે? ક્યારેક લડી પણ લે તો શું... છેવટે બધું ઊડી જાય અને શેષ બચે નિર્મળ પ્રેમ! આવું એ જ કરી શકે...જો કરવા ધારે!
ચાલ એક શરત કરીએ તું તારું ધારવાનું તારી પાસે રાખી લે હું મારો તારા પરનો વિશ્વાસ રાખી લઉં...હું તને કંઈ જ નહિ કહું, કંઈ જ નહિ માંગુ... તું છુટ્ટો છે તારી મરજી મુજબ મારી નિયતિ નિર્ધારિત કરવા માટે...તું બસ મારો તારા પરનો વિશ્વાસ ટકાવી રાખજે...છેલ્લા શ્વાસ સુધી! અને મને ખબર છે,
જ્યારે મારો શ્યામ મને મળશે ત્યારે વરસાદ આવશે! ભલે ને ગમે તે સિઝન હોય એક નાનકડું માવઠું તો આવશે જ... ભીતરનું નિરંતર વરસવું ત્યારે બહાર છલકાઈ આવશે, અમારા બન્નેનું, ફક્ત આપણા માટે!
મારા બધા સપના સજીવન થઈ ઉઠ્યા,
આ કોણ સ્પર્શી ગયું છેક મન સુધી..!
- નિયતી કાપડિયા.
(એક ગુજરાતી ફિલ્મનો સીન લખી રહી છું... કેવું લખ્યું છે? મોટા પડદા પર હીરોઈનને મોંઢે આ ડાયલોગ સાંભળવો ગમશે? ?)
આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?