સંપર્ક અને સંબંધ આમ જુઓ તો એક સિક્કાની બે બાજુઓ જેવા. બંને વચ્ચે ભેદ ખુબ ઓછો પરંતુ ભેદ ખરો.
પાણી ઉપરનું તેલ સંપર્કનું ઉત્તમોત્તમ ઉદાહરણ ગણી શકાય, અને દૂધમાં ઓગળી ગયેલી ખાંડ સંબંધનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત.
હું માનું છું ત્યાં સુધી દરેક સંપર્ક સ્વાર્થ કે જરૂરીયાત માટે જ બનતો હોય છે, હા, પછી બંનેના વ્યક્તિત્વ અને અસ્તિત્વની આધારશીલાને અનુરૂપ તેનું સંબંધમાં રૂપાંતર થાય. સંપર્કથી સંબંધ સુધીની યાત્રા એ જ મનુષ્ય જીવન.
દૂધમાં ખાંડ નાખીએ ત્યારે શું થાય છે ? દૂધના સંપર્કમાં આવતા ધીરે-ધીરે ખાંડ ઓગળે છે, ઓગળવા માટે સંપર્ક જરૂરી છે, સંપર્ક વિના સંબંધ રચાવો મૂશ્કેલ છે. ગરમ કરતા ઠંડા દૂધમાં ખાંડની ઓગળવાની ઝડપ ઓછી જ હોય તે સ્વાભાવિક છે. દૂધનો સ્વભાવ સ્વીકૃતિનો અને ખાંડનો ઓગળવાનો, એટલે સંપર્ક સંબંધમાં પરિણામે પરંતુ તેલ-પાણીનું એવું નહિ. પાણી તેલને સમાવવા તૈયાર નથી, અને કેમેય કરીને તેલ, પાણીમાં ઓગળવા તૈયાર ન થાય. તેમનાં સંપર્કની સંબંધમાં પરિણમવાની આશા ઠગારી.
અહંને ઓગાલ્યા વિનાં અને સ્વને વિસ્તાર્યા વિનાં સંબંધોનું મિશ્રણ તૈયાર થઇ ન શકે, પછી તે સંબંધ કોઈ પણ કેમ ન હોય.