Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સુખ અને દુઃખ

જગતમાં સુખ અને દુઃખ વારાફરતી આવ્યા કરે છે. બંનેમાંથી એકેયને ટાળી શકાય તેવી વ્યવસ્થા નથી. તેમ છતાં, માનવી દુઃખથી દૂર જવા મથે છે. તેને ટાળવા સતત પ્રયત્નશીલ રહે છે. દુઃખની બાબતે માનવ પલાયનવાદી છે. તે દુઃખથી છૂટકારો ચાહે છે. માનવીની આશા હોય છે કે દુઃખ વિદાય લે તો સારું અને સુખ કાયમી રોકાય તો સારું!

પરંતુ આવું શક્ય બનતું નથી. બંનેમાંથી એકેયને નિવારી શકાતાં નથી કે ટાળી શકાતાં નથી. કર્મફળ ભોગવ્યા નહીં ત્યાં સુધી તેનાથી મુક્તિ મળતી નથી. મોટામાં મોટી મુશ્કેલી એ છે કે માનવી સુખદુઃખ પરિસ્થિતિજન્ય ગણે છે. એ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે જેમાં તેને સુખ મળે. પરંતુ અહીં તે મોટી ભૂલ કરે છે. કોઈ પરિસ્થિતિ સુખદ કે દુઃખદ નથી હોતી. માનવી પરિસ્થિતિને કઈ રીતે મૂલવે છે તેના ઉપર સુખ કે દુઃખનો આધાર રહેલો છે. મતલબ કે સુખદુઃખ એ પરિસ્થિતિજન્ય નહીં પરંતુ મનોજનિત છે.

કોઈ વ્યક્તિને એક પરિસ્થિતિ સુખદ લાગતી હોય તો બીજી વ્યક્તિને એ જ પરિસ્થિતિ દુઃખદ લાગે છે. મનને પરિસ્થિતિને અનુકૂળ કરવું એમાં જ શાણપણ છે. સાધુસંતો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ હસતા રહે છે. તેમનું મન વિચલિત થતું નથી. તેનું કારણ મનદ્વારા થયેલો પરિસ્થિતિનો સ્વીકાર છે. સુખમાં છકી જવું કે દુઃખમાં ભાંગી પડવું એ નાદુરસ્ત મનની નિશાની છે. મનને કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશાં સ્વસ્થ રાખવું એ જ સુખદુઃખનો ખરો ઉકેલ છે.

- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111281427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now