એક વિચાર...
વારંવાર ઉઠતા પ્રશ્નો...
દરેક વ્યક્તિને જીવનમાં ક્યારે ને ક્યારેક તો પોતાની સામે ઉઠતા પ્રશ્નોનો સામનો કરવો જ પડતો હોય છે. હું હોવ કે તમે.. કોઈને પણ ના ગમે એની સામે પ્રશ્નો ઉઠે ત્યારે. પહેલા મન દુઃખી થાય અને પછી કદાચ વાત અહમ્ પર આવીને અટકી જાય કે હું કેમ જવાબ આપુ ? કાયમ મારે જ જવાબ આપવાના? હું તો સાચી જ છું કે સાચો જ છું.. વગેરે વગેરે.
આવા વખતે લગભગ આપણી વિચારશક્તિ પણ આપણને સાથ નથી આપતી. દિલ ને દિમાગ વચ્ચે એક યુદ્ધ ચાલે છે અને બેમાંથી ગમે તે હારે સરવાળે તો આપણી જ હાર નિશ્ચિત છે.
પણ જ્યારે એકનો એક પ્રશ્ન વારંવાર ઉઠે ત્યારે શું ? જ્યારે આવી પરિસ્થિતિમાં આપણે મુકાઈએ ત્યારે આત્મચિંતન જ યોગ્ય માર્ગ છે એમાંથી બહાર આવવા માટે. અહમ્ ને બાજુમાં મૂકીને વિચારવું જરૂરી થઈ જાય છે કે ખોટું ક્યાં થયું.
બની શકે તમે સાચા હોય અને સામેવાળી વ્યક્તિ પણ એની જગ્યાએ સાચી જ હોય. તો પણ ક્યાંક કંઇક ખોટું થયું એ હકીકત છે. અને બની શકે કે સમય અને સંજોગોએ મહત્વનો ભાગ ભજવ્યો હોય. તો આવા સમયે જીદ્દ, અહમ એવા પરિબળને બાજુમાં મૂકીને થોડો ખુદમાં બદલાવ લાવવા પ્રયત્ન કરવા. કોઈ પણ નિર્ણય ઉતાવળ કે વ્યગ્ર મનથી લેવાની જગ્યાએ થોડો વિચાર કરીને લેવો તો આગળ ઉઠી શકે એવા ઘણા બધા પ્રશ્નોથી દૂર રહી શકાય છે.
એ વાત ક્યારેય ના ભૂલવી જોઈએ કે યોગ્ય દિશામાં કરેલો એક નાનો અમથો પ્રયત્ન પણ મોટો ભાગ ભજવી જતો હોય છે...