તમે મને ધુણાવીને બતાવો તો ચોક્કસ દૈવીશક્તિ અને ભુવામાં માનું !!!
ઝેરનાં પારખા ના હોય,
પરંતુ અજ્ઞાનની પરખ પ્રયોગથી કરી શકાય...
તા. 04/06/2019ના રોજ હું એક ભુવા પાસે ફક્ત પ્રયોગ-પરખ હેતુ તેમના ઘરે મારી સમસ્યા સાથે ગયો...
ત્યાં આગળ તેમણે એક ચાદર બિછાવી અને 2 અગરબત્તી કરીને મકાઇના દાણાને અગરબત્તીનો ધૂપ આપી અભિમંત્રિત કરી...મકાઇના દાણા વેરીને બબ્બેની જોડી બને તો વેણ નહિ તો વધાવો અને એ રીતે આપણને પ્રશ્નો પૂછીને પૂર્વજ,ગોગ કે સધી-સિકોતર છે અને તે અમુક મુદત પછી કુટુંબીઓને ભેગા કરી નિયત જગ્યાએ બેસાડવું પડશે એવું કહ્યું...
આ માટે તેમણે સવા મહિનાની મુદત આપી આ સમય દરમિયાન જો મારી સમસ્યા હલ થાય તો જ આગળની કાર્યવાહી કરવાનું કહ્યું...
મને તેમણે સવા મહિના દરમિયાન દરરોજ સવારે સૌપ્રથમ નાહીને બે અગરબત્તી કરવાની અને ત્યારબાદ જ ચા પીવાની એવું ફરમાન કર્યુ...
મૂળ વાત હવે આવે છે...મેં કહ્યું કે મારા ઘર પાછળ જ મહાકાળીનું મંદિર છે તેમ છતાં હું ક્યારેય કોઇ પણ મંદિર, નાડાછડી, કંકુ , રક્ષાપોટલી, નાળિયેર , નૈવેદ્ય, દીવા-અગરબત્તી, ધાર્મિક તહેવાર, વિધિ-વિધાનના સંપર્કથી દૂર રહ્યો છું અને આ બધું માતા કે દૈવીશક્તિને માનતો પણ નથી...
મેં કહ્યું તમે મને ધુણાવીને બતાવો તો ચોક્કસ માનુ !!!
મારા પ્રશ્નથી વ્યાકુળ થઈ ભુવાએ મુઠ્ઠીમાં મકાઇના દાણા લઈ અને એમની માતાને સમર્પિત થઈને કહ્યું કે 'અજાણ્યો બરાબર અંધ છે આને માતા શું એ ખબર નથી તો હે મા, તું આને તારી તાકાતની ખબર પાડી દેજે જેથી તારા પ્રતાપ અને હયાતીની લોકોને ખબર પડે...'
પછી મને જણાવ્યું કે સવા મહિનાની અંદર ખબર પડી જશે કે માતા કોને કહેવાય, તારા પડોશી આજુબાજુવાળા પણ જાણશે કે તું "ભુવો" થયો છે.
તો હવે મને આ ઉપરોક્ત પ્રયોગના પરિણામની રાહ છે જોઇએ છીએ કોણ સાચું ઠરે છે...લોકો પર વર્ષોથી ગુલામ બનાવી, ડરાવીને થોપેલું ધાર્મિક અજ્ઞાન કે પુરાવા અને પ્રયોગ ધ્વારા સિદ્ધ થતું વિજ્ઞાન.