#MoralStories
નિર્મળ સ્નેહ...
આજે સુરભી થોડી ઉતાવળમાં હતી. પણ આ બાળકો એને છોડતા જ નહતા. બધા એને વીંટળાઈને ઊભા હતા અને હજી કઈ નવું શીખવવા માટે એમની ભાષામાં કહેતા હતા. આ જ સ્નેહ અને લાગણીઓનું બંધન બંધાઈ ચૂક્યું હતું. બધા બાળકો એને સુરભી મા કહેતા...
આ બાળકો એટલે "જીવન સ્મૃતિ મંદ બુદ્ધિ તાલીમ શાળા" ના બાળકો. એટલામાં સુરભી ની ફ્રેન્ડ તૃપ્તિ આવી. તૃપ્તિએ જ આ બાળકો સાથે સુરભીનો પરિચય કરાવ્યો. અને એક બાળક માટે તરસતી સુરભી આજે પંદર બાળકોની મા હતી. આ બાળકોએ સુરભીનું જીવન અને એનો વિચાર બદલી નાખ્યો હતો. એણે હવે આજીવન આ બાળકો અને અહીંયા આવનાર દરેક બાળકની મા બનવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. બધા બાળકોનો તૃપ્તિના હવાલે કરીને સુરભી રિક્ષામાં બેસી ઘરે જવા નીકળી.
હજી ત્રણ મહિના પહેલાની જ વાત છે, જય ના કેટલુંય સમજાવ્યા છતાં પણ સુરભી બાળકને દત્તક લેવા તૈયાર નહતી. એને એકજ વાતનો ડર હતો કે એ બાળકને પોતે એક માનો પ્રેમ નહિ આપી શકે તો..!?
એમાં ને એમાં એ એવા ભયંકર ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી કે એણે બે વાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પણ હવે એનું જીવન બદલાઈ ગયું હતું. એને એક નવી રાહ મળી ગઈ હતી. આજે એમને અનાથ આશ્રમમાં એક નવજાત બાળકીને પોતાની દીકરી બનાવવાની કાર્યવાહી પૂરી કરવા જવાનું છે.
મોરલ :- કોઈને પણ નિર્મળ સ્નેહ આપીને આપણે દુનિયાની અમૂલ્ય વસ્તુ એટલે કે ખુશી પામી શકીએ છીએ. અને એ ખુશીજ આપણા જીવનનું પ્રેરક બળ છે.
*****
શેફાલી શાહ