થોડા દિવસ વ્યથાની કથામાં વહી જશે,
પણ એ પછી સ્વભાવે સમય ક્રૂર લાગશે !
ઊગ્યો'તો ચાંદો બારીએ, એ પણ ઢળી ગયો,
બાકી બચેલ રાત હવે કોને તાકશે ?
ચીતરી મેં આખા ચિત્રમાં લીલોતરી ફકત,
તું રણ જુએને ત્યારે એ આંખોને ઠારશે.
અજવાસ એટલો બધો તારા સ્મરણનો છે,
ખુલ્લી રહી જો આંખ તો અંધાપો આવશે !
બસ આટલું કહી શકું હું આ ક્ષણે તને,
હસવા મથ્યો ને તેમાં રડાઈ ગયું હશે.
-જિ.ફ.